પુરીમાં જગન્નાથ રથયાત્રામાં લાખોની ભીડમાંથી સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સને આ રીતે રસ્તો આપ્યો

ઓડિશા : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થઇ હતી. જેમાં રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે એક એમ્બ્યુલન્સ પહોંચી.
જોકે, લગભગ 1500 ભાજપ યુવા મોરચાના સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. આ માટે કાર્યકરોએ રસ્તાની વચ્ચે માનવ સાંકળ બનાવી, જેમાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સને ભીડમાંથી પસાર થતી જોઈ શકાય છે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પણ જોડાયા
વાસ્તવમાં, ઓડિશાના પુરીમાં આજે રથયાત્રાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન, હજારો લોકોએ ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથ સાથે જોડાયેલા દોરડા શ્રી ગુંડિચા મંદિર તરફ ખેંચ્યા. શ્રી ગુંડિચા મંદિર 12મી સદીના ભગવાન જગન્નાથ મંદિરથી લગભગ 2.6 કિમી દૂર છે.
ભગવાન જગન્નાથનો ‘નંદી ઘોષ’ રથ રવાના થયો
ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના રથ ખેંચનારાઓમાં સામેલ હતા.
આ દરમિયાન, ‘જય જગન્નાથ’ અને ‘હરિ બોલ’ ના નારા અને કરતાલ, રણશિંગડા અને શંખના નાદ વચ્ચે, ભગવાન બલભદ્રનો તાલધ્વજ’ રથ સાંજે 4:08 વાગ્યે આગળ વધ્યો. આ પછી, દેવી સુભદ્રાનો ‘દર્પદલન’ રથ અને અંતે ભગવાન જગન્નાથનો ‘નંદી ઘોષ’ રથ રવાના થયો.
આપણ વાંચો: જગન્નાથની 148મી રથયાત્રાઃ જમાલપુર દરવાજામાં ટ્રક ફસાઈ, ખાડિયામાં ગજરાજ બેકાબૂ
10 લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં ભાગ લેવા માટે લગભગ 10 લાખ ભક્તો એકઠા થયા છે. રથયાત્રા માટે શહેરમાં લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
ઓડિશાના ડીજીપી વાયબી ખુરાનિયાએ જણાવ્યું હતું કે, અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે તમામ શક્ય વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે એઆઈ થી સજ્જ 275 થી વધુ સીસીટીવી કેમેરા ભીડ પર નજર રાખી રહ્યા છે.
આ ઉપરાંત અધિક પોલીસ મહાનિર્દેશક સંજય કુમારે જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી મળેલી કેટલીક માહિતીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે ઓડિશા પોલીસ ઉપરાંત, RAF ની ત્રણ ટીમો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની આઠ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.