ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઇન્ડિગોએ પણ અનેક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી

નવી દિલ્હી : ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં પણ મિડલ ઈસ્ટના દેશોના હવાઇ મુસાફરો દુવિધામાં મુકાયા છે. આ દરમિયાન મધ્ય પૂર્વની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિગોએ એડવાઈઝરી જાહેર કરી છે. ઇન્ડિગોએ ઘણા શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે. ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું, મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દુબઈ, દોહા, બહેરીન, દમ્મામ, અબુ ધાબી, કુવૈત, મદીના, ફુજૈરાહ, જેદ્દાહ, મસ્કત, શારજાહ, રિયાધ, રાસ અલ-ખૈમાહ અને તિબિલિસીની અમારી ફ્લાઇટ કામગીરી આજે સવારે 10.00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
નિયમિતપણે તમારી ફ્લાઇટ સ્ટેટસ તપાસો
ઇન્ડિગોએ કહ્યું, મધ્ય પૂર્વમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમારી કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી શકે છે અથવા ડાયવર્ટ થઈ શકે છે. અમે ભલામણ કરીએ છીએ કે તમે નિયમિતપણે તમારી ફ્લાઇટ સ્ટેટસ તપાસો. જો તમારી ફ્લાઇટ પ્રભાવિત થાય છે, તો અમારી વેબસાઇટ દ્વારા વૈકલ્પિક વિકલ્પો સરળતાથી શોધી શકાય છે.
કતાર એરવેઝે પણ અનેક ફ્લાઇટ રદ કરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ધ્યાનમાં રાખીને ઈરાકે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. જેના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત કતાર એરવેઝે પણ અનેક ફ્લાઇટ રદ કરી છે. કતાર એરવેઝે કહ્યું, અમે આનાથી પ્રભાવિત મુસાફરોને મદદ કરવા માટે સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ અને જ્યારે એરસ્પેસ ખુલશે ત્યારે કામગીરી ફરી શરૂ કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી
આ દરમિયાન, ઇરાને કતારમાં અમેરિકાના એરબેસ પર કરેલા મિસાઇલ હુમલા બાદ મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત અંગે ઈરાન કે ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો આ પ્રસ્તાવિત યુદ્ધવિરામ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી શકે છે.
આ પણ વાંચો…ઈરાને કતારમાં અમેરિકાના બેઝ પર કર્યો હુમલો, છોડી 6 મિસાઈલ…