INS બ્રહ્મપુત્રામાં લાગેલ ભીષણ આગથી યુદ્ધજહાજ ક્ષતિગ્રસ્ત; એક નાવિકની શોધખોળ ચાલુ

નવી દિલ્હી: યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં રવિવાર 21 જુલાઈના રોજ ભીષણ આગ લાગી હતી, જેમાં તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. આ ઘટના બાદ એક નાવિક પણ ગુમ થયો છે. ભારતીય નૌસેનાએ આજે 22 જુલાઈના આ માહિતી આપી હતી. નેવીએ કહ્યું કે પહેલા જહાજમાં આગ લાગી, પછી તે ધીમે-ધીમે એક તરફ નમવા લાગ્યું અને હાલ તે જ સ્થિતિમાં ઉભું છે.
આ પણ વાંચો: દક્ષિણ ચીની સમુદ્રમાં ભારતે ત્રણ યુદ્ધ જહાજ તહેનાત કર્યા
નેવી દ્વારા આપવામાં આવેલ તેના નિવેદનમાં કહ્યું કે INS બ્રહ્મપુત્રામાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ જહાજ સમુદ્રમાં એક તરફ નમી ગયું હતું. નેવી તરફથી જણાવવામાં આવ્યું હતું કે હાલ અધિકારીઓ એક નાવિકની શોધ કરી રહ્યા છે કે જે આગની ઘટના બાદથી ગુમ છે.
નૌસેનાએ કહ્યું હતું કે ભારતીય નૌકાદળના મલ્ટી-રોલ ફ્રિગેટ બ્રહ્મપુત્રા પર 21 જુલાઈની સાંજે આગ આલગી હતી. આ ઘટના બની ત્યારે તે ND(MBI)માં સમારકામ માટે જઈ રહ્યું હતું. નૌસેના ડોકયાર્ડ મુંબઈ અને બંદરમાં હાજર રહેલ અન્ય જહાજોના અગ્નિશામકોની મદદથી જહાજ ચાલકોએ 22 જુલાઇની સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આ પણ વાંચો: નૌકાદળનું હાઈ જોશ: જમ્બો યુદ્ધ જહાજમાંથી કર્યું પરીક્ષણ, મેળવી મોટી સિદ્ધિ
નેવી દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે ફ્રિગેટ INS બ્રહ્મપુત્રા પર આગ લાગવાના કારણે આ યુદ્ધ જહાજ ગંભીર રીતે એક તરફ નામી ચૂક્યું હતું. તમામ પ્રયાસો કર્યા હોવા છતાં જહાજને સીધુ નથી કરી શકાયું. જહાજ તેના બર્થ સાથે વધુને વધુ નમતું ગયું હતું અને હાલમાં તે એકતરફ ટકી રહ્યું છે. એક જુનિયર નાવિક સિવાય તમામ કર્મચારીઓની શોધ કરી લેવામાં આવી છે. હાલ ગુમ થયેલ એક નાવિકની શોધ ચાલુ છે. ભારતીય નેવીએ આ દુર્ઘટનાની તપાસ માટેના આદેશ આપ્યા છે.