
નવી દિલ્હી : ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે. જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદો લગભગ 63,000 કરોડ રૂપિયાનો છે. આ સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે.
રાફેલ મરીન ઉડાવવા અને હેન્ડલ કરવાની તાલીમ અપાશે
આ કરાર હેઠળ નૌકાદળને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર રાફેલ મરીન એરક્રાફ્ટ મળશે. જે એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ(INS)વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. આ નિર્ણય પછી સંરક્ષણ મંત્રાલય હવે ફ્રાન્સ સરકાર સાથે કરારની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત તેમાં જેટ વિમાનોની જાળવણી, લોજિસ્ટિકલ સપોર્ટ, નૌકાદળના કર્મચારીઓની તાલીમ અને ભારતમાં ઉત્પાદિત થનારા કેટલાક ભાગો માટે એક ખાસ યોજનાનો પણ સમાવેશ થાય છે. આ સોદા હેઠળ ભારતીય નૌકાદળના કર્મચારીઓને રાફેલ મરીન ઉડાવવા અને હેન્ડલ કરવાની તાલીમ પણ આપવામાં આવશે.
પહેલી ડિલિવરી વર્ષ 2029ના અંત સુધીમાં મળવાની શક્યતા
રાફેલ મરીન જેટની પહેલી ડિલિવરી વર્ષ 2029ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. આ બધા 26 જેટ 2031 સુધીમાં ભારતીય નૌકાદળને પહોંચાડવામાં આવશે. આ ફાઇટર જેટ INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા ભારતીય વિમાનવાહક જહાજો પર તૈનાત કરવામાં આવશે. આ જૂના મિગ-29 K ફાઇટર પ્લેનનું સ્થાન લેશે.
એરેસ્ટર હુક્સ અને STOBAR ટેકનોલોજીનો ઉપયોગ
રાફેલ મરીન જેટ ખાસ કરીને વિમાનવાહક જહાજો પરથી ઉડાન ભરવા અને ઉતરાણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હુક્સ અને STOBAR ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ સોદાથી ભારતીય નૌકાદળની તાકાતમાં ઘણો વધારો થશે.
આપણ વાંચો : Indian Navy: ભારત વધારશે નૌકાદળની તાકાત, 26 રાફેલ ફાઈટર જેટ સહિત સ્કોર્પિન સબમરીનની કરશે ખરીદી