Budget: આઝાદ ભારતના આ બે નાણા પ્રધાન નહોતા રજૂ કરી શક્યા બજેટ, જાણો કારણ…

Union Budget 2026: બજેટ રજૂ થવાને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે. મોદી સરકારમાં પૂર્ણકાલીન નાણા પ્રધાન તરીકે આ તેમનું સતત 9મું બજેટ ભાષણ હશે, જેમાં એક વચગાળાના બજેટનો પણ સમાવેશ થાય છે. બજેટ 2026 રજૂ કરવાની સાથે જ સીતારમણ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની બરાબરી કરશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન નવ બજેટ રજૂ કર્યા હતા. બજેટ રજૂ કરવાની જવાબદારી નાણા પ્રધાનની હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા પણ નાણા પ્રધાન રહ્યા છે જેઓ પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ બજેટ રજૂ કરી શક્યા નહોતા?
કે. સી. નિયોગીએ બજેટ રજૂ કર્યું નહોતું
ભારતના આવા નાણા પ્રધાનોની વાત કરીએ તો તેમાં પહેલું નામ કે. સી. નિયોગી (KC Niyogi) નું છે, જેઓ એક પણ બજેટ રજૂ કરી શક્યા નહોતા. આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેઓ માત્ર 35 દિવસ માટે આ પદ પર રહ્યા હતા. તેમનો આ નાનકડો કાર્યકાળ વર્ષ 1948માં હતો. તેમણે આર.કે. શણમુખમ ચેટ્ટીના સ્થાને નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી, પરંતુ 35 દિવસ પછી જ તેમણે રાજીનામું આપી દીધું હતું અને આ સમયગાળા દરમિયાન બજેટની તારીખ આવી નહોતી.

આઝાદ ભારતના બીજા નાણા પ્રધાન હતા નિયોગી
ભલે કે. સી. નિયોગીએ ખૂબ જ ટૂંકા સમય માટે નાણા પ્રધાનની જવાબદારી સંભાળી હતી અને બજેટ રજૂ કર્યા વિના રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમનું નામ આઝાદ ભારતના બીજા નાણા પ્રધાન તરીકે નોંધાયેલું છે. નિયોગીએ રાજીનામું આપ્યા બાદ નાણા પ્રધાનનું પદ જ્હોન મથાઈએ સંભાળ્યું હતું અને તેમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો…Union Budget: આ નાણા પ્રધાનના નામે છે સૌથી ઓછા બજેટ ભાષણનો રેકોર્ડ…
એચ. એન. બહુગુણા પણ બજેટ વાંચી શક્યા નહોતા
કે. સી. નિયોગી સિવાય બીજા એક નાણા પ્રધાન પણ એવા રહ્યા છે જેઓ બજેટ રજૂ કરી શક્યા નહોતા. તેમનું નામ હેમવતી નંદન બહુગુણા (HN Bahuguna) છે. તેમને પણ નાણા પ્રધાન હોવા છતાં એક પણ બજેટ રજૂ કરવાની તક મળી નહોતી. બહુગુણા સાથે પણ કે. સી. નિયોગી જેવી જ સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો રહ્યો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારમાં નાણા પ્રધાન બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું નહોતું.



