LAC પરથી ભારત અને ચીન બંનેની સેના પાછળ હટી, ચીનની દાનત પર પ્રશ્નચિહ્ન

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા ભારત અને ચીને સરહદ પર પેટ્રોલિંગ અંગે ઐતિહાસિક યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર (India china agreement on border patrolling) કર્યા હતા, આ દરમિયાન સરહદ પર તણાવ ઘટાડવા બંને પક્ષો સંમત થયા હતાં. આ કરારની અસર સરહદ પર પણ જોવા મળી છે, પૂર્વીય લદ્દાખ સેક્ટરના બે નિર્ણાયક ઘર્ષણ સ્થળ ડેમચોક અને ડેપસાંગના મેદાનો (Demchok and Depsang Plains)થી સૈનિકો પાછા હટવા લાગ્યા છે. વિવાદ દરમિયાન સૌથી વધુ તણાવ આ વિસ્તારોમાં ઉભો થયો હતો, તેથી અહીં બંને પક્ષે સેનાની પીછેહઠએ મહત્વની બાબત છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ ભારત અને ચીન વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી સધાઈ હતી. આ સમજુતી બાદ જ બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી હતી. જોકે બેઠક બાદ ચીને જાહેર કરેલા નિવેદનમાં સરહદ વિવાદનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પેટ્રોલિંગ પોઈન્ટ અંગે પણ કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ વડા પ્રધાન મોદીએ સરહદ સમજુતીનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું અને બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ વધારવા પર ભાર મૂક્યો હતો.
ચીને નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓના ઉકેલ શોધવામાં સફળ રહ્યા છે. હવે આગામી તબક્કામાં ચીન ભારત સાથે મળીને કામ કરશે અને સોલ્યુશન પ્લાનને એક્શનમાં લાવશે.
Also Read – 5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા
જો કે સરહદ વિવાદનો ઉલ્લેખ ન કરાતા નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે સરહદ વિવાદને બાબતે સહમતિ સધાઈ ગઈ છે, ત્યારે તેના પર ખુલીને ચર્ચા કરવી જરૂરી છે.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે એક નિવેદનમાં કહેવું પડ્યું હતું કે જે સમજૂતીઓ પર સહમતિ થઈ છે તેનું બંને પક્ષોએ સન્માન કરવું જરૂરી છે.