નેશનલ

ભારતની વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં સર્જાયું પાણીનું સંકટ, ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાને વોટર સ્ટ્રાઈક કરી છે. જેમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. જેના પગલે હવે પાકિસ્તાનના પાણીનું સંકટ સર્જાયું છે.

હાલ પાકિસ્તાનમાં ખરીફ પાક માટે નદીઓ અને નહેરોમાંથી પાણી નથી તેથી ખેડૂતો ચિંતિત છે. સિંધુ-જેલમથી ચેનાબ નદીઓમાં પાણીનો પ્રવાહ ખૂબ ઓછો છે. તીવ્ર ગરમી અને પાણીની અછતને કારણે ખેતરો પણ સુકાઈ રહ્યા છે.

પાણીની અછત એક ગંભીર સમસ્યા

પાકિસ્તાનમાં ખેતી માટે હવે પાણીની અછત એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ભારતે ચેનાબ નદીના પાણીનો પ્રવાહ ઘટાડી દીધો છે. જેના કારણે પાકિસ્તાનના મુખ્ય બંધોમાં પાણીની અછત છે. આ સ્થિતિથી ચિંતિત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજિકિસ્તાનના દુશાંબેમાં આયોજિત ગ્લેશિયર સંરક્ષણ પરિષદમાં અપીલ કરી હતી. તેમણે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાના ભારતના નિર્ણય પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘણો ઓછો કરી દીધો

પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘણો ઓછો કરી દીધો છે. પાકિસ્તાનની જળ અને વિદ્યુત વિકાસ સત્તામંડળ (WAPDA)એ માહિતી આપી છે કે છેલ્લા 2 દિવસમાં ચેનાબ નદીમાં પાણીના પ્રવાહમાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. ડેટા અનુસાર, 29 મેના રોજ મરાલા હેડવર્ક્સ પર પાણીનો પ્રવાહ 98,200 ક્યુસેક હતો. જે 1 જૂન સુધીમાં ઘટીને માત્ર 7,200 ક્યુસેક થઈ ગયો. ભારત તરફથી આ ઘટાડાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ પાકિસ્તાન તેને ભારત તરફથી વ્યૂહાત્મક ચેતવણી તરીકે માની રહ્યું છે.

મંગલા ડેમના પાણી સંગ્રહને પણ અસર

સિંધુ નદી સિસ્ટમ સત્તામંડળએ(IRSA)ચેનાબ નદીમાં પાણીના પ્રવાહમાં ભારે વધઘટને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. ઇરસાના પ્રવક્તા ખાલિદ ઇદ્રીસ રાણાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા ચેનાબના પાણીના પ્રવાહમાં ઘટાડો માત્ર ખરીફ પાક ખાસ કરીને ચોખા માટે જોખમી નથી. તે મંગલા ડેમના પાણી સંગ્રહને પણ અસર કરી શકે છે.

પાકિસ્તાનને પાણી આપવું એ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. તેમજ ભારતે 23 એપ્રિલે જાહેરાત કરી હતી કે તે હવે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે ” લોહી અને પાણી” એક સાથે નહિ વહે. જ્યારે પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓ ભારતમાં લોહી વહેવડાવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનને પાણી આપવું એ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.

આપણ વાંચો:  મહારાષ્ટ્રના રાજકારણ શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ

ચિનાબ નદી જીવનરેખા

ભારતે ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘટાડ્યા બાદ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. આ ખાસ કરીને પંજાબ પ્રાંતની ખેતી પર ઊંડી અસર કરી રહ્યું છે. જ્યાં ચિનાબ નદીને જીવનરેખા માનવામાં આવે છે. ભારતે સિંધુ જળ સમજૂતી રદ કર્યા પછી આ પગલું પાકિસ્તાન માટે મુશ્કેલ બની રહ્યું છે. ચિનાબ નદીની ઉપરની ચેનાબ અને BRB(બંબાવાળી-રાવી-બેદિયન) જેવી નહેરોથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હજારો એકર ખેતીલાયક જમીન પર સિંચાઇ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button