દેશમાં મોંઘવારીમાં રાહત, સપ્ટેમ્બર માસમાં ફુગાવામાં ઘટાડો

દેશના આર્થિક મોરચે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવાના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો ઓગસ્ટમાં 2.07 ટકા હતો જે સપ્ટેમ્બરમાં ઘટીને 1.54 ટકા થયો છે. જેના લીધે મોંધવારીમાં ઘટાડો થવાનો દાવો કરવામાં આવ્યો છે.
ખાદ્ય ચીજો પાછલા વર્ષની તુલનામાં સસ્તી થઈ
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO)એ જણાવ્યું હતું કે આ નોંધપાત્ર ઘટાડો મુખ્યત્વે અનુકૂળ આધાર અસર અને ખાદ્ય પદાર્થોમાં ભાવમાં ઘટાડાને કારણે થયો હતો. જેમાં ખાદ્ય ચીજો પાછલા વર્ષની તુલનામાં સસ્તી થઈ છે.
એનએસઓ અનુસાર, શાકભાજી, કઠોળ અને ઉત્પાદનો, તેલ, ફળો, અનાજ અને ઉત્પાદનો, ઇંડા અને ઇંધણ તથા લાઇટિંગ જેવા ઘણા મુખ્ય ઘટકોના ભાવમાં ઘટાડો થયો છે. તેની તુલનામાં સપ્ટેમ્બર 2024 માં ફુગાવાનો દર 5.49 ટકા હતો. જે દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં ભાવ વધારાની ગતિ કેટલી ધીમી પડી છે.
આપણ વાંચો: મોંઘવારી મુદ્દે રાહતઃ ફુગાવાના દરમાં થયો ઘટાડો, સરકારી રિપોર્ટ જાણો
આરબીઆઈને નીતિ નિર્ધારણ માટે રાહત
ફુગાવાના નિયંત્રણથી ભારતીય રિઝર્વ બેંક ને મોટી રાહત મળી છે. તાજેતરમાં, ઓક્ટોબરમાં તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા દરમિયાન આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025-26 માટે ફુગાવાનો અંદાજ ઘટાડીને 2.6 ટકા કર્યો છે. જે અગાઉ ઓગસ્ટમાં 3.1 ટકા હતો.
અર્થતંત્રને વધુ વેગ મળશે.
આ ઉપરાંત આ વર્ષે સારું ચોમાસું, ખરીફ પાકનું વધુ વાવેતર, જળાશયોમાં પૂરતા પાણીનું સ્તર અને સારા ખાદ્યાન્ન સ્ટોક – આ બધું ખાદ્ય ભાવોને નિયંત્રણમાં રાખવામાં ફાળો આપશે. વિશ્લેષકો માને છે કે ફુગાવામાં આ નોંધપાત્ર ઘટાડો આરબીઆઈને ભવિષ્યમાં નીતિ દરો પર વધુ અનુકૂળ વલણ અપનાવવા માટે છુટ આપશે. જેનાથી અર્થતંત્રને વધુ વેગ મળશે.