
નવી દિલ્હી: જમ્મુ અને કશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 નિર્દોષ ભારતીયોના મોત થયા હતાં. આ હુમલા બાદ ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સેનાએ આતંકવાદને છાવરતા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. પાકિસ્તાનની આતંકવાદને પોષવાની વૃતિને હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડી પાડી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના મંચ પરથી ભારતે આતંકવાદ અને ખોટા પ્રચાર મુદ્દે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો.
ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે પાકિસ્તાને ફટકાર લગાવતા કહ્યું કે પાકિસ્તાન હજુ પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે, પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે, તે પીડિત હોવાનો ડોળ ન કરી શકે.
આ પણ વાંચો: UN માં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર, કહ્યું- આંતરરાષ્ટ્રીય દાન પર જીવો છો, અમારી પાસેથી શીખો…
રાજદ્વારી અનુપમા સિંહે કહ્યું કે આતંકવાદી હુમલાઓના આયોજકો સીધા પાકિસ્તાની ધરતીથી કામ કરે છે. જુઠ્ઠાણું ફેલાવવા અને વિકટીમ કાર્ડ રમવા માટે WHO જેવા વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ અનુપમા સિંહે પાકિસ્તાનને ફટકાર લગાવી.
ભારતીય પ્રતિનિધિએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વારંવાર ખોટો પ્રચાર કરી રહ્યું છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિ વિશે જુઠ્ઠાણા ફેલાવે છે, જ્યારે ભારત સંધિનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યું છે.
આ પણ વાંચો: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત
આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનનો અસલી ચેહરો દુનિયા સમક્ષ લાવવા ભારતના તમામ રાજકીય પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતોના બનેલા 7 પ્રતિનિધિમંડળોને 32 અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. વિવિધ દેશોમાં જઈને પ્રતિનિધિમંડળ જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પોષે છે અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આ આતંકવાદ પર કેવી રીતે હુમલો કર્યો હતો.