
નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ (India-Pakistan Tension)કર્યો હતો, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન વધુ ઉશ્કેરણીજનક હુમલા કરે તેવી શક્યતા છે. એવામાં આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી નિર્દેશો આપી રહ્યા છે. તેઓ ત્રણેય સેનાના વડાઓ (PM Modi meets three army chief) સાથે બેઠક કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અંગે ત્રણેય સેનાના વડાઓ (સેના, વાયુસેના અને નૌકાદળ) સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ બેઠક માટે નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે.
આજે સાંજે ભારતના વિદેશ મંત્રાલયે એક પ્રેસ બ્રિફિંગમાં પુષ્ટિ કરી હતી કે ભારતના લશ્કરી મથકોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોનો ભારતીય સશસ્ત્ર દળોએ પ્રમાણસર અને પૂરતો જવાબ આપ્યો હતો. એહવાલ મુજબ તેના એક કલાક પછી જ આ બેઠક શરુ થઈ હતી.
પાકિસ્તાનને મોટું નુકશાન:
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે શુક્રવારે પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે પશ્ચિમી સરહદો પર લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ ભારતે પાકિસ્તાનના ચાર એર ડિફેન્સ લોકેશન સશસ્ત્ર ડ્રોન છોડ્યા હતા. તેમણે કહ્યું કે એક ભારતીય ડ્રોને પાકિસ્તાનના એક એર ડિફેન્સ રડાર સિસ્ટમનો નાશ કર્યો.
8-9 મેની રાત્રે પાકિસ્તાનની ઘૂસણખોરી પાછળના કારણો સમજાવતા, સિંહે કહ્યું, “મોટા પાયે ઘૂસણખોરી કરવાના સંભવિત કારણો ભારતની એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો હતો. ડ્રોનના પાર્ટ્સની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.”
આપણ વાંચો : ચીને આપ્યો પાકિસ્તાનને આંચકો, ભારત વિરુદ્ધ ચીની ફાઈટર જેટના ઉપયોગ અંગે કહી આ વાત