ડોનાલ્ડ ટ્રમ્પે 21 દિવસમાં 11 વાર યુદ્ધવિરામનો શ્રેય લીધો, કોંગ્રેસે પૂછ્યું પીએમ મોદી કેમ મૌન…

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર અને તેની બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું. જોકે, આ યુદ્ધવિરામ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસે આ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદીએ જણાવવું જોઈએ કે શું ટ્રમ્પના વારંવારના દાવા કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો તે સાચા છે. પીએમ આ મુદ્દા પર મૌન કેમ છે.
21 દિવસમાં આ 11મી વખત યુદ્ધવિરામ શ્રેય લીધો
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્રમ્પના દાવા પર કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે 21 દિવસમાં આ 11મી વખત છે જ્યારે વડા પ્રધાનના પ્રિય મિત્રએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લીધો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો પર વેપાર દબાણ લાવીને આ સંઘર્ષને રોક્યો છે.
ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને સમાન ગણાવ્યા હતા
કોંગ્રેસ નેતા જયરામે કહ્યું કે આટલું જ નહીં અગાઉ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને સમાન ગણાવ્યા હતા, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા પાકિસ્તાનની તુલનામાં 10 ગણી વધી છે. તેમણે કહ્યું કે તેમના નજીકના મિત્ર ટ્રમ્પના આવા પાયાવિહોણા નિવેદનો સાંભળીને પીએમ મોદી ક્યાં સુધી મૌન રહેશે.
વડા પ્રધાન મોદી ટ્રમ્પના ટેરિફ વોર પર મૌન
આ અગાઉ પણ જયરામ રમેશે ટ્રમ્પ-મોદી મિત્રતા પર નિશાન સાધ્યું હતું. આ અગાઉ જયરામ રમેશે ટ્રમ્પના ટેરિફ વોર વિશે કહ્યું હતું કે આપણા વડા પ્રધાન ટેરિફ વિશે સાંભળવા માંગતા નથી. તેઓ ફક્ત પોતાના અને પોતાના કામના વખાણ સાંભળવા માંગે છે. તેથી જ વડા પ્રધાન મોદી ટ્રમ્પના ટેરિફ વોર પર મૌન છે.