નેશનલ

મલેશિયાએ ભારતના ચોખા આપવાના નિર્ણયને વધાવ્યો, પણ આ વાતને ફગાવી

નવી દિલ્હીઃ મલેશિયાના વિદેશ પ્રધાન ઝામ્બરી અબ્દુલ કાદિર ભારતના પ્રવાસે છે, ત્યારે તેમને ભારત તરફથી ચોખા આપવાના નિર્ણયને બિરદાવ્યો હતો, પરંતુ ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણની બાબતને ફગાવી હતી.

મલેશિયાના વિદેશ પ્રધાન ઝામ્બરી અબ્દુલ કાદિર ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. ગઈકાલે રાત્રે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અબ્દુલ કાદિરના મલેશિયાના સમકક્ષ વચ્ચેની બંને દેશોના સંબંધોને આગળ વધારવાના માર્ગો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કાદિરે કહ્યું હતું કે ભારત અને મલેશિયા રાષ્ટ્રીય ચલણમાં વેપાર કરવા માટે એક માળખું તૈયાર કરી રહ્યા છે.


ઉપરાંત, બંને દેશો નવા કાર્યક્ષેત્ર અને વસ્તુઓનો સમાવેશ કરવા માટે 12 વર્ષ જૂના વ્યાપક આર્થિક સહકાર કરારની સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. બંને દેશો ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક, રિન્યુએબલ એનર્જી, નવી ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સ જેવા નવા ઉભરતા ક્ષેત્રોમાં વેપાર સહયોગ વધારવા આતુર છે.


ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ માટે મલેશિયા સામે ભારતની માંગણી વિશે પૂછવામાં આવતા કાદિરે આ વાતને ફગાવી હતી. મલેશિયા કોઈ પણ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય મિકેનિઝમને મજબૂત કરવામાં માને છે, એવો તેમણે જવાબ આપ્યો હતો.


ઝાકિર નાઈક પર ભારતમાં આતંકવાદ-સંબંધિત પ્રવૃત્તિઓ અને નફરતભર્યા ભાષણો કરી ઉગ્રવાદને ઉશ્કેરવાના આરોપો છે. નાઈકે તેની ધરપકડના ભયથી 2016માં ભારત છોડ્યું હતું. નાઈક પરના આ આરોપો સામે અનેક ભારતીય તપાસ એજન્સી દ્વારા તપાસનો સામનો કરવામાં આવી શકે છે.


કાદિરે ભારતે 170,000 મેટ્રિક ટન બિન-બાસમતી સફેદ ચોખા મલેશિયાને આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતે જુલાઈમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ગયા મહિને કેટલાક દેશો માટે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. દક્ષિણ ચીન સાગરમાં દેશોમાં વધતાં તણાવ વિશે કાદિરે કહ્યું કે મલેશિયા કે અન્ય આસિયાન દેશો નથી ઈચ્છતા કે આ સંઘર્ષ વધે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button