પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ મહમૂદ ગઝનવીને ભારતીય લૂંટારો ગણાવ્યો, ભાજપે આકરા પ્રહાર કર્યા

નવી દિલ્હી : દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ મહમૂદ ગઝનવીને ભારતીય લૂંટારો કહીને વિવાદ છેડ્યો છે. આ અંગે ભાજપે તેમની પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે હામિદ અંસારી અને કોંગ્રેસ પર વિદેશી આક્રમણકારીઓના ગુણગાન કરવાનો આરોપ લગાવ્યો છે. હામિદ અંસારીએ ઈતિહાસના પુસ્તકોના આધારે જણાવ્યું હતું કે વિદેશી આક્રમણકારો ખરેખર ભારતીય લૂંટારુ હતા. જેમને રાજકીય રીતે ગુનેગાર ગણાવવામાં આવ્યા હતા.
મહમૂદ ગઝનવી પ્રત્યે અંસારીનો પ્રેમ તેમની બીમાર માનસિકતા
ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમ વિદેશી આક્રમણકારોનો ગુણગાન કરે છે અને હિન્દુઓ પર અત્યાચાર કરનારાઓની પ્રશંસા કરે છે.ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિદેશી આક્રમણકારો અને લૂંટારાઓ પ્રત્યે અંસારીનો પ્રેમ તેમની “બીમાર માનસિકતા” દર્શાવે છે. ભાજપે આ પ્રતિક્રિયા એક ઇન્ટરવ્યુમાં હામિદ અંસારીએ આપેલા જવાબ બાદ આવી છે. જેમાં તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે ઇતિહાસના પુસ્તકોમાં વિદેશી આક્રમણકારો અને લૂંટારાઓ તરીકે દર્શાવવામાં આવેલા લોકો જેમાં મહમૂદ ગઝનવીનો પણ સમાવેશ થાય છે તે ખરેખર ભારતીય લૂંટારો હતો.
લોદી અને ગઝનવી બધા ભારતીય લૂંટારા
એક ઇન્ટરવ્યુમાં હામિદ અંસારીએ જણાવ્યું હતું કે, મેં હંમેશા કહ્યું છે કે જેમને આપણે આપણા ઇતિહાસના પુસ્તકોમાં વિદેશી આક્રમણકારો કહીએ છીએ લોદી અને ગઝનવી છે તે બધા ભારતીય લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજકીય રીતે એવું કહેવું અનુકૂળ છે કે તેમણે આનો વિનાશ કર્યો આ તોડી પાડ્યું પરંતુ તેઓ બધા ભારતીય હતા.



