
કેનેડાએ ગત ફેબ્રુઆરી મહિનામાં ભારત પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. કેનેડા(Canda)એ એવો આરોપ લગાવ્યો હતો કે 2019 અને 2021ની ચૂંટણી(Canada Election)માં ભારતે હસ્તક્ષેપ(Indian interference) કર્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચેના સંબંધ વધુ બગડ્યા હતાં, કેનેડામાં ચૂંટણીઓ પર દેખરેખ રાખતી વરિષ્ઠ કેનેડિયન અધિકારીઓની પેનલને તપાસ દરમિયાન રાષ્ટ્રીય ચૂંટણીઓને પ્રભાવિત કરવાના ભારતના કોઈપણ પ્રયાસો વિશે જાણકારી મળી નથી.
કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ચૂંટણીમાં સંભવિત વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહી છે. CSISએ ફોરેન ઈન્ટરફેન્સ કમિશન સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડાની ચૂંટણીમાં ભારતે કોઈપણ રીતે હસ્તક્ષેપ કર્યો નથી.
સત્તાવાર તપાસમાં મળેલી જાણકારી અનુસાર, કેનેડાની ગુપ્તચર એજન્સીને જાણવા મળ્યું છે કે કેનેડામાં યોજાયેલી છેલ્લી બે ચૂંટણીઓમાં ચીને હસ્તક્ષેપ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. CSISનું કહેવું છે કે ચીન દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપના નક્કર પુરાવા પણ મળ્યા છે.
કેનડાની ગુપ્તચર એજન્સીએ અગાઉ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન જેવા દેશોએ કેનેડામાં 2019 અને 2021માં યોજાયેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો.
કેનેડાના આ આરોપોનો જવાબ આપતા ભારત સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે કેનેડિયન કમિશનની તપાસ અંગેના મીડિયા અહેવાલો જોયા છે. કેનેડાની ચૂંટણીમાં ભારતીય દખલગીરીના તમામ પાયાવિહોણા આરોપોને અમે નકારીએ છીએ. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી ભારત સરકારની નીતિ નથી. ખરો મુદ્દો એ છે કે કેનેડા આપણી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.
કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા એક વર્ષથી રાજદ્વારી તણાવ ચાલુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાના આરોપ લગાવ્યા હતા