
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પગલાં લીધા છે. જ્યારે પાકિસ્તાને પણ ભારતીય એરલાઇન્સ માટે એર સ્પેશ બંધ કરી દીધો છે તેની બાદ આજે ભારતે પણ પાકિસ્તાની એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી દીધો છે. જેની માટે એરમેનને નોટિસ એટલે કે નોટમ જાહેર કરવામાં આવી છે. જેમાં 30 એપ્રિલથી 23 મે સુધી નોટમ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાનમાં નોંધાયેલ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં.
પાકિસ્તાનને ચીનના એર સ્પેશનો ઉપયોગ કરવો પડશે
ભારત હવે પાકિસ્તાન માટે એર સ્પેશ બંધ કરતાં પાકિસ્તાનને મોટું નુકસાન થશે. પાકિસ્તાન એરલાઇન્સને હવાઇ યાત્રા માટે લાંબો રસ્તો અપનાવવો પડશે. પાકિસ્તાની ફ્લાઇટ્સ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો માટે ચીનના એર સ્પેશનો ઉપયોગ કરવો પડશે. જેના લીધે મુસાફરીના સમય અને ઈંધણ ખર્ચમાં પણ તોતિંગ વધારો થશે.
જળ માર્ગો પર પ્રતિબંધો લાદી શકે છે
ભારત પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બાદ હવે જળ માર્ગો પર પ્રતિબંધો લાદી શકે છે. ભારત તેના બંદર અંગે પણ કાર્યવાહી કરી શકે છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સિવાય અનેક આકરા નિર્ણયો લીધા છે.