
શ્રીનગરઃ રવિવારે એક પોલીસ અધિકારી પર થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ શ્રીનગર અને કાશ્મીરના અન્ય શહેરોમાં સુરક્ષા વધારીને તેમની તપાસને વેગ આપ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના ઇદગાહ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર મસરૂર અહમદ વાની પર દિવસ દરમિયાન થયેલા હુમલા બાદ સુરક્ષા દળોએ શ્રીનગર અને અન્ય નગરોના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ કાશ્મીર જિલ્લાના પુલવામામાં વાહનો અને રાહદારીઓની તપાસ તેજ કરી દીધી છે.
તેમણે કહ્યું હતું કે શ્રીનગરના તમામ મુખ્ય રસ્તાઓ તેમજ શહેરના બહાર નીકળવાના માર્ગો પર અસ્થાયી ચેકપોઇન્ટ બનાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાની ઈદગાહ મેદાનમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી. વાનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેની હાલત નાજુક ગણાવી હતી. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવતા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સ્વીકારી છે.