
મેડ્રિડઃ ભારત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લદ્દાખમાં વિશ્વના સૌથી ઊંચા એરબેઝનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતને તેનું પહેલું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળવા જઈ રહ્યું છે. ભારત આ વિમાન સ્પેન પાસેથી મેળવવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તેને લેવા માટે સ્પેન પહોંચ્યા છે.
મળતી માહિતી મુજબ સ્પેને ભારત માટે આ ખાસ એરક્રાફ્ટનું નિર્માણ કર્યું છે. આ મહિને તેને હિંડન એરબેઝ પર તહેનાત કરવામાં આવશે. બે વર્ષ પહેલા 21,935 કરોડ રૂપિયાના ટાટા-એરબસ પ્રોજેક્ટ હેઠળ આવા 56 એરક્રાફ્ટની ડીલ કરવામાં આવી હતી, જે મુજબ 16 સી-295 એરક્રાફ્ટનો પ્રથમ બેચ સ્પેનથી આવશે અને બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે ખાનગી ક્ષેત્રની કંપની સેના માટે એરક્રાફ્ટ બનાવશે. ટાટા એરબસ દ્વારા ઉત્પાદિત એરક્રાફ્ટની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનામાં એવરો એરક્રાફ્ટનું સ્થાન લેશે. એરફોર્સ પાસે 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જે તેણે 1960માં ખરીદ્યા હતા. C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લદ્દાખ અને કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોમાં કામ કરી શકે છે. આના દ્વારા ભારતીય સેના હથિયારોને સરળતાથી ચીન અને પાકિસ્તાન સરહદ સુધી લઈ જઈ શકે છે. આ એરક્રાફ્ટનો ટેકઓફ સમય કાર્ગો પ્લેનની તુલનામાં ઓછો છે, તેથી તે સૈનિકોની અવરજવર માટે શ્રેષ્ઠ છે.
એક સમયે 71 સૈનિકોને લઈ જવાની સાથે આ વિમાનની મદદથી દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં સપ્લાય પહોંચાડી શકાય છે જ્યાં ભારે વિમાનો ઉતરી શકતા નથી. આ એરક્રાફ્ટ લગભગ 480 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 11 કલાક સુધી ઉડી શકે છે. આ એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગ માટે ખૂબ જ ઓછી જગ્યાની જરૂર પડશે. તેને ટેક ઓફ માટે 670 મીટર રનવે અને લેન્ડિંગ માટે માત્ર 320 મીટરની જરૂર પડશે.
યુદ્ધના કિસ્સામાં, આ વિમાન ઝડપથી સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. એટલું જ નહીં, આ વિમાન રાહત અને બચાવ તેમજ ઘાયલ સૈનિકોને બહાર કાઢવાના મુશ્કેલ ઓપરેશનમાં ખૂબ અસરકારક સાબિત થશે. ભારત આ એરક્રાફ્ટ દ્વારા મુશ્કેલ કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકે છે. તેના વાયુસેનામાં જોડાવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે.
આ એરક્રાફ્ટનો ઉપયોગ સૈન્ય તેમજ નાગરિક અને માનવતાવાદી મિશન માટે થઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી દેશમાં સંરક્ષણ ઉદ્યોગને વેગ મળશે અને અનેક નોકરીઓનું સર્જન થશે.