નેશનલ

દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી

સરકારી આવાસ ખાલી કરવાના આદેશ સામે હાઇ કોર્ટના દરવાજે મહુઆ મોઇત્રા

નવી દિલ્હી: લોકસભામાંથી હાલમાં જ હાંકી કાઢવામાં આવેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ રદ કરવામાં આવે અને ૭ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી ઘર ખાલી કરવાના આદેશને પડકારતા સોમવારે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમની અરજી અંગે મંગળવારે સુનવણી થાય તેવી શક્યતાઓ છે.
મહુઆ મોઇત્રા દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ડાયરેક્ટરેટ ઓફ એસ્ટેટ્સના ૧૧મી ડિસેમ્બરના આદેશને રદ કરવામાં આવે, અથવા તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવે ત્યાં સુધી સરકારી આવાસમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રાને અનૈતિક આચરણ માટે દોષી સાબિત કરવામાં આવ્યાં છે અને ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મહુઆ મોઇત્રાને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ઉપહારો સ્વાકારવા અને એમની સાથે સંસદની વેબસાઇટનું પોતાનું યુઝર આઇડી અને પાસવર્ડ શેર કરવા બાબતે લોકસભામાંથી હાંકી કાઢાવામાં આવ્યાં છે. મોઇત્રાએ અરજીમાં જણાવ્યું છે કે તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળના કૃષ્ણનગરમાંથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયાં છે. અને તેમના પક્ષે આગામી લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે પણ કૃષ્ણનગરથી જ ઉમેદવાર તરીકે પસંદ કયાર્ં છે. વધુમાં તેમણે કહ્યું છે કે, લોકસભામાંથી કાઢવાથી તેઓ ચૂંટણી માટે અયોગ્ય છે એ સાબિત નથી કરતું. તેથી તેઓ ફરીથી ચૂંટણી લડશે. અને તેમને તેમની એનર્જી અને સમય તેમના મતદારો પર ખર્ચ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે તેઓ દિલ્હીમાં એકલા રહે છે અને અહીં એમની પાસે કોઇ અન્ય ઘર કે કોઇ પણ વૈકલ્પીક વ્યવસ્થા નથી. જો તેમને સરકારી આવાસમાંથી બેદખલ કરવામાં આવે તો તેમને નવા આવાસની વ્યવસ્થા કરવી પડશે. જેને કારણે તેમના પર મોટો આર્થિક ભાર પડશે. તેથી તેના વિકલ્પમાં અરજી કરનાર વિનંતી કરે છે કે તેમને ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામો આવે ત્યાં સુધી તેમના વર્તમાન ઘરમાં રહેવાની પરવાનગી આપવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button