હિન્દુ કુશ પર્વતમાળાના ગ્લેશિયર્સ પર ગ્લોબલ વોર્મિંગનું તોળાતું સંકટ…
સદીના અંત સુધી 75 ટકા બરફ પીગળવાની ભીતિ

નવી દિલ્હી: જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ સદીના અંત સુધીમાં 75 ટકા ઘટી શકે છે. હિન્દુ કુશ પર્વતોના આ ગ્લેશિયર અનેક નદીઓનો સ્ત્રોત છે જેમાં આ ગ્લેશિયરમાંથી પાણી આવે છે અને આ નદીઓ બે અબજ લોકો માટે આજીવિકાનું સાધન બને છે. આ માહિતી એક નવા અભ્યાસમાં પ્રકાશમાં આવી છે.
વિજ્ઞાન મેગેઝિન ‘સાયન્સ’માં પ્રકાશિત અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો દેશો તાપમાન વૃદ્ધિને પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી શકે છે તો હિમાલય અને કોકેશસ પર્વતમાં ગ્લેશિયરની 40-45 ટકા બરફ સંરક્ષિત કરી શકાશે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેનાથી વિપરીત જો આ સદીના અંત સુધીમાં વિશ્વ 2.7 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય છે તો વૈશ્વિક સ્તર પર ગ્લેશિયરના બરફનો ફક્ત એક ચતુર્થાંશ ભાગ રહેશે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે માનવ સમુદાયો માટે સૌથી મહત્વપૂર્ણ ગ્લેશિયર ક્ષેત્ર જેમ કે યુરોપિયન આલ્પ્સ, પશ્ચિમ અમેરિકા અને કેનેડાની પર્વતમાળાઓ અને આઇસલેન્ડ વિશેષ રીતે ખરાબ રીતે પ્રભાવિત થશે.

2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર આ પ્રદેશો લગભગ બધો બરફ ગુમાવી શકે છે અને 2020ના સ્તરે ફક્ત 10-15 ટકા બરફ રહેશે. સ્કેન્ડિનેવિયા પર્વતોનું ભવિષ્ય વધુ ભયાનક હોઈ શકે છે, કારણ કે આ સ્તરના તાપમાન પર હિમનદીઓ પર કોઈ બરફ બાકી રહેશે નહીં.
અભ્યાસમાં એ વાત પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે 2015ના પેરિસ કરાર દ્વારા નિર્ધારિત 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય સુધી તાપમાનને મર્યાદિત રાખવાથી તમામ પ્રદેશોમાં કેટલાક ગ્લેશિયર બરફને બચાવવામાં મદદ મળશે. શુક્રવારથી શરૂ થઈ રહેલા ગ્લશિયરો પરના પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ માટે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં વિશ્વ નેતાઓ એકઠા થઈ રહ્યા છે. તેમાં 50થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે જેમા 30 દેશોના મંત્રી સ્તરીય અથવા ઉચ્ચસ્તરીયના અધિકારી સામેલ હશે.
એશિયન ડેવલપમેન્ટ બેન્કના ઉપપ્રમુખ યિંગમિંગ યાંગે દુશાંબેમાં કહ્યું હતું કે “પીગળતા ગ્લેશિયરો અભૂતપૂર્વ સ્તરે જીવનને જોખમમાં મૂકી રહ્યા છે, જેમાં એશિયાના બે અબજથી વધુ લોકોના જીવનનો પણ સમાવેશ થાય છે. હિમનદીઓના પીગળવાની ગતિ ધીમી કરવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે ગ્રહને ગરમ કરતા ઉત્સર્જન ઘટાડવા માટે સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધવું જોઇએ.