નેશનલસ્પેશિયલ ફિચર્સ

Climate Change: હિમાલય ક્ષેત્રમાં વધી જળવાયુ પરિવર્તનની અસરો, આ રાજ્યોમાં પૂરનું જોખમ વધ્યું

નવી દિલ્હી : હિમાલય પ્રદેશમાં જળવાયુ પરિવર્તનની(Climate Change) અસર વધી રહી છે. તેનો વધુ એક પુરાવો તાજેતરના સરકારી અહેવાલમાં જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિમાલયના ક્ષેત્રમાં 2011 અને 2024 વચ્ચે હિમાલયના ગ્લેશિયલ સરોવરોના વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. આ વધારો 10.81 ટકા નોંધાયો છે. એટલે કે હિમાલયના અત્યંત ઠંડા વિસ્તારોમાં પણ બરફ ઝડપથી પીગળવા લાગ્યો છે. ચિંતાની વાત એ છે કે આ ફેરફારોને કારણે તળાવોમાં વધુ પડતા પાણીને કારણે પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

સમગ્ર હિમાલય ક્ષેત્રની વાત કરીએ તો હિમાલયોના તળાવો અને અન્ય જળાશયોનો વિસ્તાર 2011માં 5,33,401 હેક્ટરથી વધીને 2024માં 5,91,108 હેક્ટર થઈ ગયો છે. જે લગભગ 10.81 ટકાનો વધારો છે.

સરોવરોનો સપાટી વિસ્તાર 33.7 ટકા વધ્યો
સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના રિપોર્ટ અનુસાર, ભારતમાં સરોવરોનો સપાટી વિસ્તાર 33.7 ટકા વધ્યો છે. જે ઘણો વધારે છે. નોંધનીય છે કે 2011માં ભારતમાં હિમનદી તળાવોનો કુલ વિસ્તાર 1962 હેક્ટર હતો. તે 2024માં 2623 હેક્ટર સુધી પહોંચી ગયો છે. આ સપાટી વિસ્તારમાં 33.7 ટકાનો વધારો છે.

લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ
આ રિપોર્ટમાં ભારતના આવા 67 સરોવરો પણ અલગ તારવવામાં આવ્યા છે. જેની સપાટીનો વિસ્તાર 40 ટકા
સુધી વધી ગયો છે. પૂરના જોખમને કારણે આને ઉચ્ચ જોખમી ભેજવાળી જમીનમાં મૂકવામાં આવ્યા છે. જે રાજ્યોમાં હિમનદી સરોવરોના ક્ષેત્રમાં સૌથી વધુ વધારો નોંધાયો છે તેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આના કારણે આ રાજ્યોમાં પર્વતીય પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે અને સરકાર દ્વારા આ વિસ્તારનું મોનિટરિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધારવાની જરૂર પણ બની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button