Shimla કુલ્લૂ માં ભારે વરસાદથી તબાહી, વાદળ ફાટતાં 6 લોકોના મોત, 50 થી વધુ લોકો ગુમ

શિમલા : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 6 લોકોના મોત થયા છે. 50 થી વધુ લોકો ગુમ છે. શિમલા (Shimla)કુલ્લૂ માં ભારે વરસાદથી તબાહી સર્જાઇ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બધી પહાડી નદીઓ તોફાની બની છે. પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.
શિમલા અને કુલ્લુ જિલ્લામાં 6ના મોત
રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ ડીસી રાણાએ જણાવ્યું કે, વાદળ ફાટવાને કારણે શિમલા જિલ્લાના સમેજ વિસ્તાર, રામપુર વિસ્તાર, કુલ્લુના બાગીપુલ વિસ્તાર અને મંડીના પદ્દાર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ છે. 53 લોકો ગુમ છે અને 6 મૃતદેહો મળી આવ્યા છે. 60થી વધુ મકાનો ધોવાઈ ગયા છે. અનેક ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. NDRF અને SDRFએ ફસાયેલા લોકોને બચાવ્યા છે.
કુલ્લુ, મંડી અને શિમલામાં વાદળ ફાટ્યું
બુધવારે રાત્રે હિમાચલના ત્રણ જિલ્લા – કુલ્લુ, મંડી અને શિમલામાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યા બાદ મંડીના રાજબન ગામમાંથી બે અને કુલ્લુના નિરમંડમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કુલ્લુમાં શ્રીખંડ મહાદેવની આસપાસ ફસાયેલા લગભગ 300 લોકો સુરક્ષિત છે અને મલાનામાં લગભગ 25 પ્રવાસીઓની સ્થાનિક લોકો દ્વારા સારી રીતે દેખભાળ કરવામાં આવી રહી છે.
CMએ પીડિતો સાથે વાત કરી
અધિકારીઓએ જણાવ્યું કે સેના, એનડીઆરએફ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ડ્રોનની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ શિક્ષણ પ્રધાન રોહિત ઠાકુર સાથે શિમલા અને કુલ્લુ જિલ્લાની સરહદ પર સ્થિત સમેજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પીડિતો સાથે વાત કરી હતી.
સરકાર પીડિતોને દર મહિને 5 હજાર રૂપિયા આપશે
સીએમ સુખુએ કહ્યું કે લોકોને બચાવવા એ રાજ્યની પ્રથમ પ્રાથમિકતા છે. ગુમ થયેલાઓમાં 17-18 મહિલાઓ અને 8-9 બાળકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પીડિતો માટે 50,000 રૂપિયાની તાત્કાલિક રાહતની જાહેરાત કરી અને એમ પણ કહ્યું કે તેઓને આગામી ત્રણ મહિના માટે ભાડા પેટે દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત રાંધણગેસ, ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ આપવામાં આવશે.
Also Read –