હરિયાણામાં ખાનગી ક્ષેત્રોમાં 75% અનામત રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે સરકાર | મુંબઈ સમાચાર

હરિયાણામાં ખાનગી ક્ષેત્રોમાં 75% અનામત રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે સરકાર

ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારના એ બિલને રદ કરી દીધું છે જેમાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હવે આ મામલે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે હરિયાણાના ખાનગી ક્ષેત્રોમાં સ્થાનિક લોકોને નોકરીઓમાં 75 ટકા અનામત આપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવાની જાહેરાત કરી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. દુષ્યંત ચૌટાલા જેજેપી (જનનાયક જનતા પાર્ટી)ના નેતા છે અને ભાજપ ગઠબંધન સરકારનો ભાગ છે.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, ‘અમે સ્થાનિક સ્તરે રોજગારી પેદા કરવા માગીએ છીએ. તેનાથી ઉદ્યોગને બે સ્તરે ફાયદો થયો હોત. એક તો તેઓએ પરિવહન અને રહેઠાણનો ખર્ચ ચૂકવવો પડતો નથી. બીજું, સ્થાનિક રીતે કુશળ મજૂર ઉપલબ્ધ હોત. અમે જોયું છે કે જ્યારે કુશળ કામદારો તેમના શહેરોમાં પાછા જાય છે ત્યારે ઉદ્યોગો કેવી રીતે બરબાદ થઈ જાય છે.’


મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની સરકાર દ્વારા હરિયાણા રાજ્યમાં સ્થાનિક ઉમેદવારો માટે રોજગાર બિલ 2020 માં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા. રોજગાર બિલમાં સુધારા મુજબ ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં સ્થાનિક લોકો માટે 75 ટકા ક્વોટા ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. નવા ફેરફાર પછી, માસિક પગાર અથવા રૂ. 30,000 થી ઓછા પગારવાળી ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં ફક્ત સ્થાનિક રહેવાસીઓ અથવા હરિયાણાના નિવાસી લોકોની 75 ટકા પોસ્ટ્સ પર નિમણૂક કરવામાં આવશે. જો કે, રાજ્ય સરકાર હરિયાણામાં રહેતા એવા રહેવાસીઓને સ્થાનિક માને છે જેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી હરિયાણામાં રહેતા હોય. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે પાંચ વર્ષથી હરિયાણામાં રહેતા લોકોને જ સ્થાનિક ગણવામાં આવશે. અગાઉ અહીં રહેઠાણનું પ્રમાણપત્ર 15 વર્ષ રહ્યા બાદ મળતું હતું.

Back to top button