Haryana ની હારમાં ઇન્ડી ગઠબંધનની જીત, પીએમ મોદી-અમિત શાહને પરેશાન કરશે ભાજપનો વિજય…

નવી દિલ્હીઃ હરિયાણા(Haryana)અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં ચોંકાવનારા સંકેતો છે. જો અત્યાર સુધીની મતગણતરી પછીના પરિણામો અને વલણો જોઇએ તો તમામ રાજકીય પંડિતોના દાવાઓને ખોટા ઠેરવતા ભાજપ સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને બહુમતી મળતી દેખાઈ રહી છે. જો હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર ધ્યાન આપીએ તો સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધન જીત્યું છે. જ્યારે હરિયાણામાં જીત્યા બાદ પણ ભાજપને ચિંતા કરવાની જરૂર છે. આ બે રાજ્યોના ચૂંટણી પરિણામોથી સર્જાયેલા નવા રાજકીય સમીકરણને સમજીએ.
આ પણ વાંચો : Haryana માં નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ જીત તરફ અગ્રેસર, વિજયાદશમીએ લઇ શકે છે સીએમ પદના શપથ
હરિયાણામાં વોટ ટકાવારીમાં ઇન્ડી ગઠબંધન જીત્યું
હરિયાણા વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ તો ઇન્ડી ગઠબંધનનો વિજય થયો છે. આ જીત બેઠકના હિસાબે નથી પરંતુ વોટની ટકાવારીના આધારે છે. અત્યાર સુધીની ગણતરી મુજબ કોંગ્રેસને સૌથી વધુ 40.03 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને 39.79 ટકા વોટ મળ્યા છે.
1.89 ટકા વોટ કેટલો તફાવત
અહીં નોંધનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીને 1.65 ટકા વોટ મળ્યા છે. હરિયાણામાં લોકસભાની ચૂંટણીની જેમ ઇન્ડી ગઠબંધન વિધાનસભાની ચૂંટણીમાં પણ સાથે આવ્યું હોત તો સીટો પ્રમાણે પરિણામોમાં મોટો તફાવત આવી શક્યો હોત. કારણ કે જો આપણે મતોની ટકાવારી જોઈએ તો 40.03+1.65 તો આ સંખ્યા 41.68 ટકા થાય છે. જો ભાજપ સાથે સરખામણી કરીએ તો આ તફાવત 1.89 ટકા છે. ભાજપની થિંક ટેન્ક પણ સહમત થશે કે દ્વિપક્ષીય હરીફાઈમાં 1.89 ટકા વોટ કેટલો તફાવત લાવી શકે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં લગભગ 28 એવી બેઠકો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે 5 હજાર કે તેથી ઓછા મતનો તફાવત જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને હરિયાણાની ચૂંટણી લડી હોત તો તેની અલગ અસર થઈ શકી હોત.
રાહુલ ગાંધીની વાત ન સાંભળીને હુડ્ડાએ કમલનાથની ભૂલ કરી
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા ઈચ્છતા હતા. પરંતુ સૂત્રોનું કહેવું છે કે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડાના અતિવિશ્વાસના કારણે આ ગઠબંધન થઈ શક્યું નથી. ચૂંટણીની વચ્ચે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે એવું લાગતું હતું કે કોંગ્રેસ અને AAPનું ગઠબંધન લગભગ નિશ્ચિત છે.પરંતુ હુડ્ડા તેના માટે તૈયાર નહોતા.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કમલનાથ ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાતા હતા. તેમણે સમાજવાદી પાર્ટીને સાથે લેવાની ના પાડી દીધી હતી અને અખિલેશ યાદવના નામ પર મોટું નિવેદન પણ આપ્યું હતું. હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ કમલનાથ જેવી જ ભૂલ કરી હતી અને કોંગ્રેસનું બીજુ રાજ્ય જીતવાનું સપનું રોળ્યું હતું.