Haryana માં કોંગ્રેસની હાર બાદ સંગઠનમાં આંતરિક ખેંચતાણ, પ્રભારી દીપક બાબરિયાએ કરી રાજીનામાની ઓફર

ચંદીગઢ : હરિયાણામાં(Haryana)કોંગ્રેસે હારનું ઠીકરું ઇવીએમ- વીવીપેટ પર ફોડ્યા બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે. જેમાં હરિયાણામાં કોંગ્રેસના નેતા હાર માટે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. તેવા સમયે હરિયાણા ભાજપના પ્રભારી દીપક બાબરિયાએ રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે હાઈકમાન્ડને જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.
કોંગ્રેસમાં મંથનનો સમય ચાલી રહ્યો છે
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ હાઈકમાન્ડ તરફથી એવા સંકેતો પણ મળી રહ્યા હતા કે હરિયાણાના પ્રભારી દીપક બાબરિયા અને પ્રદેશ અધ્યક્ષ ચૌધરી ઉદયભાનની હકાલપટ્ટી થઈ શકે છે. કોંગ્રેસ હવે રાજ્યમાં તેની વ્યૂહરચના બદલશે અને બિન-જાટ ધારાસભ્યને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવી શકે છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં મંથનનો સમય ચાલી રહ્યો છે. પાર્ટી હાઈકમાન્ડે હાર અંગે રાજ્ય પ્રભારી દીપક બાબરિયા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પાસેથી જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો : Chirag Paswanને આપવામાં આવી Z કેટેગરી સુરક્ષા
હરિયાણા પ્રભારીએ જવાબદારીમાંથી મુક્ત થવા વિનંતી કરી
હરિયાણામાં હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયાએ પાર્ટી નેતૃત્વને રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડને વિનંતી કરી કે તેમને હરિયાણા કોંગ્રેસના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે. દીપક બાબરિયાએ કહ્યું કે, હરિયાણાના પરિણામ આવ્યાના બીજા જ દિવસે મેં રાજીનામું આપી દીધું હતું. હું કોઈ પદનો લોભી નથી. આ અગાઉ પણ પાર્ટીમાં મને આપેલા કામની જવાબદારી લીધી છે અને 52 વર્ષથી સંગઠનમાં છું.
બાબરીયાએ વધુમાં કહ્યું કે, એવું નથી કે હું માત્ર મારા સ્વાર્થ માટે કોઈ હોદ્દો સંભાળી રહ્યો છું. દિલ્હી લોકસભામાં થયેલા હોબાળા બાદ મેં રાજીનામું પણ આપ્યું હતું. મને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને મને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. તેથી હું 8મી સપ્ટેમ્બરે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શક્યો ન હતો.
પ્રથમ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી
આ અગાઉ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ઉદયભાન અને દીપક બાબરિયાએ હાર સમીક્ષા બેઠકમાં હાજરી આપી ન હતી. ગુરુવારે ત્રણેય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કોઈ આવ્યું ન હતું. નાદુરસ્ત તબિયતના કારણે બાબરિયાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ઉદય ભાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોના કારણે હાઈકમાન્ડના કોલને અટેન્ડ કર્યા ન હતા. નેતાઓની ગેરહાજરીને કારણે ચર્ચાઓ તેજ થવા લાગી હતી. હરિયાણામાં હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ સાથે રાજ્યના નેતાઓની પ્રથમ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બોલાવવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો.
કોંગ્રેસ પાર્ટી કડક પગલાં લેવાના મૂડમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણામાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી કડક પગલાં લેવાના મૂડમાં છે. પરિણામો આવ્યા બાદ પાર્ટી હાઈકમાન્ડે કહ્યું કે ટૂંક સમયમાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે. આ બેઠકમાં કેસી વેણુગોપાલ, અજય માકન અને અશોક ગેહલોત હાજર હતા. દિપક બાબરીયા અને સુનીલ કાનુગોલુ ઓનલાઈન જોડાયા હતા