
નવી દિલ્હી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક મોટી જાહેરાત કરતા થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટના પ્રથમ પેકેજ અંતર્ગત 105.8 કિમી લાંબા છ-લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવેનું નિર્માણ કરવામાં આવશે. ઓગસ્ટ 2024 માં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોરનો આ એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
મળતી વિગતો અનુસાર, કુલ 214 કિમી લાંબો આ આખો કોરિડોર ₹10,534 કરોડના મૂડી ખર્ચે તૈયાર થવાનો છે. આ એક્સપ્રેસવે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા બે મોટા રાષ્ટ્રીય કોરિડોરને જોડવાનું કામ કરશે. આ જોડાણને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી મહારાષ્ટ્રના જેએનપીટી (JNPT) જેવા બંદરો સુધી માલસામાનની હેરફેર અત્યંત સરળ અને ઝડપી બનશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કોરિડોર તૈયાર થવાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20% ઘટશે અને મુસાફરીના સમયમાં અંદાજે 60% જેટલો મોટો ઘટાડો થશે.
માત્ર વેપાર જ નહીં, પરંતુ આ એક્સપ્રેસવે પ્રવાસન ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે. આનાથી રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લા અને દિલવાડા મંદિર તેમજ ગુજરાતના અંબાજી મંદિર અને રાણી કી વાવ જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવું પ્રવાસીઓ માટે વધુ સુલભ બનશે. ટેન્ડર પ્રક્રિયા મુજબ, બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે અને બીજા જ દિવસે એટલે કે 20 માર્ચે બિડ ખોલવામાં આવશે.
આપણ વાંચો: કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટીને લઈ શું થઈ જાહેરાત?



