ગંગા જળ સંધિ પર મમતા બેનર્જીનું વલણ વધારશે બાંગ્લાદેશની ચિંતા, જાણો વિગતે

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સતત વણસતા સબંધો વચ્ચે ગંગા જળ સંધિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેમાં ગંગા જળ સંધિ અંગે બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ મતભેદો ઉભા થયા છે.
આ અંગે સીએમ મમતા બેનર્જીનો તર્ક છે કે પશ્ચિમ બંગાળ સાથે ચર્ચા કર્યા વિના કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. કારણ કે ફરક્કા બેરેજમાંથી પાણી છોડવાથી કોલકાતા બંદરની પરિવહન ક્ષમતા પર સીધી અસર પડે છે. જેના લીધે આ મુદ્દો કેન્દ્ર સરકાર માટે પડકાર બની શકે છે.
આપણ વાચો: અહીં ભારતની ગંગા નદી બની જાય છે પદ્મા, જાણો કઈ રીતે…
ગંગા જળ સંધિને ચાલુ રાખવી રાજદ્વારી ક્સોટી
હાલમાં, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા જળ સંધિ મહત્વપૂર્ણ તબક્કે છે. આ કરાર ડિસેમ્બર 2026 માં સમાપ્ત થવાનો છે. આ સંધિ વર્ષ 1996માં કરવામાં આવી હતી. જે બંને દેશો માટે જીવનરેખા રહી છે.
જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. શેખ હસીનાની સરકારના પતન બાદ ઢાકામાં એક વચગાળાની સરકાર સત્તામાં છે. તેથી આ સંધિને ચાલુ રાખવી રાજદ્વારી ક્સોટી બની છે.
સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય ફરક્કા બેરેજ પર ગંગાના પાણીની વહેંચણી કરવાનો
આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય ફરક્કા બેરેજ પર ગંગાના પાણીની વહેંચણી કરવાનો છે. જે વર્ષના શુષ્ક મહિનાઓ જાન્યુઆરીથી મે સુધી પાણીની વહેંચણી કરવામાં આવે છે. આ 10 દિવસના ચક્ર અને 40 વર્ષના સરેરાશ ડેટા પર આધારિત છે.
જો પાણીનો પ્રવાહ 75,000 ક્યુસેક કે તેથી વધુ હોય તો ભારત 40,000 ક્યુસેક પાણી લે છે. જયારે બાકીનું પાણી બાંગ્લાદેશને આપવામાં આવે છે. જો પ્રવાહ 70,000 ક્યુસેકથી ઓછો હોય તો બંને દેશો સમાન રીતે પાણી વહેંચે છે.
આપણ વાચો: વિશેષ : ચિનાબ આ નદી નથી, ભારત-પાક સંબંધનો જલસ્રોત છે
બાંગ્લાદેશ 40,000 ક્યુસેક પાણીની ગેરંટી માંગી રહ્યું છે
તાજેતરના અહેવાલો અને સંશોધનો અનુસાર, ગંગા નદીનો તટપ્રદેશ હવે પાણીની તંગીનો સામનો કરી રહ્યો છે. ભારત તરફ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
દરમિયાન, બાંગ્લાદેશમાં, પદ્મા નદી (ગંગાનું સ્થાનિક નામ) નું પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, જેના કારણે નદીના તળમાં રેતીના ખાડાઓ બની રહ્યા છે. આનાથી જહાજોના નેવિગેશન અને સિંચાઈ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. પાણીની અછતને કારણે બાંગ્લાદેશમાં ઓછામાં ઓછી 25 ઉપનદીઓ સુકાઈ ગઈ છે. બાંગ્લાદેશ હવે ફેબ્રુઆરી અને મે વચ્ચે ઓછામાં ઓછી 40,000 ક્યુસેક પાણીની ગેરંટી માંગી રહ્યું છે.
તિસ્તા જળ સંધિને અવરોધિત કરી છે.
આ સંધિનું ભવિષ્ય રાજકારણમાં ઊંડે સુધી જોડાયેલું છે. ફેબ્રુઆરી 2026માં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. તેમજ હાલની વચગાળાની સરકાર અને ભારત વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. તેથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વલણ મહત્વપૂર્ણ છે. મમતા બેનર્જીએ અગાઉ સંમતિ આપવાનો ઇનકાર કરીને તિસ્તા જળ સંધિને અવરોધિત કરી છે.



