બોમ્બની ધમકી મળ્યા પછી ઈન્ડિગોની ફ્લાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ, પણ…

મધ્યપ્રદેશના જબલપુરથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ નાગપુર તરફ વાળવામાં આવી હતી, એવી એરલાઈન્સે જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને નાગપુરમાં ઉતર્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
બૉમ્બની ધમકી મળ્યા બાદ રવિવારે જબલપુરથી હૈદરાબાદ જતી ફ્લાઇટ 6E-7308ને નાગપુર તરફ વાળવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘વિમાનના લેન્ડિંગ પછી તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને મદદ અને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.’
આ પણ વાંચો : હરિયાણામાં મોબ લીન્ચિંગ: ગૌરક્ષકોએ પરપ્રાંતિય શ્રમિકને ઢોરમાર મારી હત્યા કરી, મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા…
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીનો સંદેશ કાગળના ટુકડા પર લખવામાં આવ્યો હતો. તે પ્લેનના બાથરૂમમાંથી મળ્યો હતો. જો કે, અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરી હતી. તેઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. ત્યાર બાદ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્લેન તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ ગયું છે.
થોડા દિવસો પહેલા એર ઈન્ડિયાના એક પ્લેનમાં પણ બોમ્બની ધમકી મળી હતી. મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પછી, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 657 એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી. ફ્લાઇટમાં 135 મુસાફરો અને ક્રૂ સવાર હતા.
એરપોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘AI 657 (BOM-TRV) એ 22 ઓગસ્ટ, 2024ના રોજ 0730 કલાકે બોમ્બની ધમકીની જાણ કરી હતી. ત્યાર બાદ પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાંથી કંઇ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી.