નેશનલ

ભારતીય પાસપોર્ટમાં થશે પાંચ મહત્ત્વના સુધારા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આધારકાર્ડ, પેનકાર્ડ, વોટરઆઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત પાસપોર્ટ એવા મહત્વના દસ્તાવેજો છે કે જે ભારતીય નાગરિકત્વના પ્રમાણ આપતા દસ્તાવેજો છે. જો તમે પણ પાસપોર્ટ માટે એપ્લાય કરવાના છો કે તમારી પાસે પણ પાસપોર્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે. ભારત સરકાર દ્વારા હવે પાસપોર્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે ઈ-પાસપોર્ટ, સિક્યોરિટી ફીચર્સ અને એપ્લિકેશન પ્રોસેસમાં બદલાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ જ અનુસંધાનમાં પાસપોર્ટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે જે તમારે જાણી લેવા જોઈએ. ચાલો જોઈએ શું છે આ બદલાવ-

ઈ-પાસપોર્ટમાં આએફઆઈડી ચિપ, બાયોમેટ્રિક ડેટા
ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આરએફઆઈડી ચિપ લગાવવામાં આવે છે. આને કારણે તમારો બાયોમેટ્રિક અને પર્સનલ ડેટા સુરક્ષિત રહે છે. ડિજિટલ ટેક્નિકથી આઈડેન્ટિટી ચોરી અને છેતરપિંડી થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ ઈ-પાસપોર્ટની શરૂઆત ગોવા અને રાંચી જેવા શહેરોમાં તો આની શરૂઆત કરી દેવામાં આવી છે.

પાસપોર્ટ પરથી ગાયબ થશે રેસિડેન્શિયલ એડ્રસ, બારકોડથી થશે એક્સેસ
અત્યાર સુધી પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ચાલતું હતું, કારણ કે તેના પર તમારું રેસિડેન્શિયલ એડ્રેસ છાપવામાં આવતું હતું, પરંતુ હવે પાસપોર્ટમાંથી એડ્રેસ ગાયબ થશે અને તેની જગ્યાએ બારકોડ જોવા મળશે. બારકોડથી ઓફિશિયલ ઈમિગ્રેશન ઓફિસર તમારા એડ્રસની માહિતી જાણી શકશે. જેને કારણે પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રોત્સાહન મળશે.


પેરેન્ટ્સના નામ પણ હટાવવામાં આવશે
નવી સિસ્ટમ પ્રમાણે હવે પાસપોર્ટમાં માતા-પિતાના નામ નહીં જોવા મળે. આ બદલાવ એવા લોકો માટે ખૂબ જ કામનું સાબિત થશે, જેમની પારિવારિક સંરચના પારંપારિક નથી, જેમ કે સિંગલ પેરેન્ટ્સ, ડિવોર્સ કે બીજા કોઈ પરિસ્થિતિ. આ પગલું અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.

આપણ વાંચો:  14 વર્ષના વૈભવ સૂર્યવંશીની PM Modi સાથે મુલાકાત, જાણો શું કર્યું?

ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત
જી હા, પહેલી ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે પાસપોર્ટ એપ્લાય કરવા માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. અધિકૃત રજિસ્ટ્રાર દ્વારા જારી કરવામાં આવેલું બર્થ સર્ટિફિકેટ વેલિડ ગણાશે. આ પહેલાં જન્મેલા લોકો માટે બીજા વૈકલ્પિક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, પેન અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ પણ માન્ય ગણાશે.

2030 સુધી વધશે પાસપોર્ટ સેવા કેન્દ્ર
ભારત સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2030 સુધી દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોને નજીકના કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત સુવિધાઓ મળી શકે. આ પગલું દેશભરમાં પાસપોર્ટ સુવિધાની પહોંચ અને દક્ષતાને વધારવાની દિશામાં લેવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button