નેશનલ

અમરનાથ યાત્રામાં થયા બાબા બર્ફાનીના પ્રથમ દર્શન, ક્યારથી થશે યાત્રાનો પ્રારંભ…

હિંદુઓ માટે અમરનાથ યાત્રા ખૂબ જ પૂજનીય અને વિશેષ છે. અમરનાથ ભગવાન શિવજીના પૂજનીય ધાર્મિક સ્થળમાંથી એક છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમનાથ પહોંચે છે. અહીં ભગવાન શિવજીનું શિવલિંગ આવેલું છે, અને તે બરફથી બનેલું છે, જેને કારણે તેને હિમલિંગ પણ કહેવામાં આવે છે. અમરનાથ ગુફા પહલગામથી 34 કિલોમીટર દૂર આવેલું છે. આજે એટલે કે 11મી જૂન, 2025ના બાબા અમરનાથના પહેલાં દર્શન થયા હતા, અને વિધિવત પૂજા કરવામાં આવી હતી.

જેઠ મહિનાની પૂનમના શુભ અવસરે અમરનાથની પવિત્ર ગુફામાં ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી. પૂજા અને અનુષ્ઠાનનું આયોજન અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રાઈન બોર્ડના મોટા મોટા અધિકારીઓએ પણ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયા સુધી બાબા અમરનાથના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટશે.

અમરનાથ યાત્રા વિશે શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે જેઠ મહિનાની પૂનમના પહેલી પૂજા બાદથી યાત્રા સંબંધિત પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ થઈ જશે. યાત્રાની શરૂઆત ત્રીજી જુલાઈથી થશે અને 38 દિવસ સુધી આ યાત્રા ચાલશે. 9મી ઓગસ્ટના યાત્રાનું સમાપન થશે. ગયા વર્ષે પાંચ લાખ લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો આ વર્ષે પણ આટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કરવા પહોંચશે.

અમરનાથ સ્થિતિ બાબા બર્ફાનીની પવિત્ર ગુફાને લઈને લોકોમાં એવી માન્યતા છે કે અહીં શિવજીએ માતા પાર્વતીને અમર થવાનું રહસ્ય જણાવ્યું હતું. આ માટે આ પવિત્ર સ્થાનનું નામ અમરનાથ પડ્યું હતું. અહીં બે કબૂતરોએ પણ અમર કથા સાંભળી હતી અને એટલે જ તેઓ પણ અમર થઈ ગયા.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું ઉત્સાહભેર આયોજન, ભગવાન મામાને ઘરે ગયા..

પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવાથી કાશીમાં શિવજીના દર્શન કરવાથી દસ ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થશે. હિંદુ માન્યતા અનુસાર બાબા બર્ફાનીના દર્શન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button