નેશનલ

ભારતના ઓપરેશન સિંદૂર અને વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છતાં આપી રહ્યું છે ખુલ્લી ધમકી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમજ ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. જેના લીધે પાકિસ્તાનમાં પાણીની તંગી ઉભી થઇ છે. તેમજ હાલ પાણીના મુદ્દે પાકિસ્તાનની હાલત કફોડી બની છે.

સિંધુ નદીના પાણીના દરેક ટીપા પાકિસ્તાનના લોકોનો અધિકાર

ત્યારે હવે પાકિસ્તાન ફરી એકવાર ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પીએમ મોદી ગોળીઓ અને પાણી બંધ કરવાની વાત કરી રહ્યા છે. શાહબાઝ શરીફે કહ્યું છે કે ભારત સતત અમને ધમકી આપી રહ્યું છે, પરંતુ જો ફરીથી યુદ્ધ થશે તો અમે ભારતને પાઠ ભણાવીશું. શાહબાઝ શરીફે કહ્યું કે ક્યારેક તેઓ કહે છે કે તેઓ ગોળીઓથી જવાબ આપશે, ક્યારેક તેઓ કહે છે કે તેઓ પાણી બંધ કરી દેશે. મારું માનવું છે કે સિંધુ નદીના પાણીના દરેક ટીપા પાકિસ્તાનના લોકોનો અધિકાર છે.

યુદ્ધ થશે તો અમે ભારતને પાઠ ભણાવીશું

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે સિંધુ નદીના પાણી પર પાકિસ્તાનનો અધિકાર છે. અમે 1960માં સિંધુ જળ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે ભારત પાણી માટે દિવસ-રાત અમને ધમકી આપે છે. જો હવે યુદ્ધ થશે તો અમે ભારતને પાઠ ભણાવીશું.

આ પણ વાંચો – પંજાબથી યુટ્યુબર પાકિસ્તાની જાસૂસની ધરપકડ, જાસૂસ જ્યોતિ મલ્હોત્રા અને દાનિશના સંપર્કમાં હતો

બિલાવલે અમેરિકામાં ભારત સાથે વાતચીત માટે આજીજી કરી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે પીએમ મોદી સતત પાકિસ્તાન વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે. બિલાવલે પીએમ મોદીના “શાંતિની જિંદગી જીવો, રોટલી ખાઓ નહીંતર મારી ગોળી તો છે જ” ના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. બિલાવલ પાકિસ્તાનના એક પ્રતિનિધિમંડળ સાથે અમેરિકામાં છે અને આ દરમિયાન તેઓ ભારત સાથે વાતચીત માટે આજીજી કરતા જોવા મળ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની ભૂમિકા ભજવવા કહ્યું. બિલાવલે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button