અહી ગામમાં વાઘ ગમે ત્યારે ખેડૂતોનો કોળીયો બનાવી જાય છે. | મુંબઈ સમાચાર

અહી ગામમાં વાઘ ગમે ત્યારે ખેડૂતોનો કોળીયો બનાવી જાય છે.

પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ટાઈગર રિઝર્વને અડીને આવેલા વિસ્તારોમાં વાઘોનો આતંક વધી ગયો છે. ભૂતકાળમાં ઘણા ખેડૂતોને વાઘો પોતાનો કોળીયો બનવી ચૂક્યા છે. ત્યારે પીલીભીતના મધોટાંડા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વાઘની અવરજવર પણ સતત જોવા મળી રહી છે. પરંતુ ત્યાં મોટા ભાગે ખેડૂતો જ રહેતા હોવાથી તેમને પોતાના ખેતરમાં કામ કરવા જવું પડે છે અને રાત્રિનો સમય હોય ત્યારે વાઘ ખેતરો સુધી પણ આવતા હોય છે ત્યારે ખેતરમાં ગયેલા એક ખેડૂતને વાઘે શિકાર બનાવ્યો હતો.
આ ઘટના પીલીભીતના માધોટાંડા વિસ્તારના જમુનિયા ગામની છે. જ્યાં ગામના 45 વર્ષીય ખેડૂત ઓમપ્રકાશ ગામથી લગભગ બે કિલોમીટર દૂર આવેલા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે રાત્રે અચાનક વઘે તેમના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો જીવલેણ હતો કે ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટના બાદ જામુનિયા ગામના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે ગયા ઓક્ટોબરમાં લગભગ 19 દિવસ સુધી એક વાઘણે ગામમાં આતંક ફેલાવ્યો હતો. તે વઘણને 17 ઓક્ટોબરના રોજ વનવિભાગે પકડી પાડી હતી. પરંતુ થોડા દિવસો બાદ ફરી એકવાર ગામમાં વાઘ ફરતો જોવા મળ્યો હતો. ગ્રામજનોએ વનવિભાગ પર બેદરકારીનો આક્ષેપ કરી રસ્તો રોકી વિરોધ કર્યો હતો. જે બાદ વન વિભાગે મોનીટરીંગ માટે ટીમો તહેનાત કરી હતી. જેના બે દિવસ બાદ જ ગામમાં વાઘના હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી.

Back to top button