હવે ઓડિશાના ચંદ્રગિરી રિઝર્વ ફોરેસ્ટમાં એલિફન્ટ કેર સેન્ટર બનાવાશે…
સેન્ટરમાં વૃદ્ધ, ઘાયલ અને બીમાર હાથીઓની દેખરેખ કરવામાં આવશે

બરહામપુરઃ ઓડિશાના ગંજમ જિલ્લાના ચંદ્રગિરી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ટૂંક સમયમાં હાથી સંભાળ કેન્દ્ર બનાવવામાં આવશે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમન નાયકે આજે આપી હતી. વન વિભાગે બેરુબારી નજીક આ સુવિધા માટે લગભગ ૨૧ હેક્ટર જમીન નક્કી કરી છે.
આ પણ વાંચો : દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
ભંજનગરના ધારાસભ્ય નાયકે જણાવ્યું કે ઘુમુસર ઉત્તર વન વિભાગની દરખાસ્ત પર સક્રિયપણે વિચાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી મળવાની સંભાવના છે. ધારાસભ્યએ જણાવ્યું કે તેમણે આ મામલે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પ્રધાન ગણેશ રામ સિંહખુંટિયા સાથે ચર્ચા કરી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત સુવિધા ખુર્દા જિલ્લાના ચંદકા અને ઢેંકનાલના કપિલાશ બાદ રાજ્યમાં ત્રીજું હાથી બચાવ-સહ-દેખરેખ કેન્દ્ર હશે. જેમાં વૃદ્ધ, ઘાયલ અને બીમાર હાથીઓની દેખરેખ કરવામાં આવશે.
ઘુમુસર ઉત્તર વિભાગ ઉપરાંત આ કેન્દ્ર ઘુમુસર દક્ષિણ, બરહામપુર, પરલાખેમુંડી, નયાગઢ, બૌદ્ધ, બાલીગુડા અને ફુલબાની વન વિભાગોમાં પણ હાથીઓની સંભાળ લેશે.
આ પણ વાંચો : સેફ્ટીઃ ઓડિશામાં ટાઈગર રિઝર્વ માટે ખાસ સશસ્ત્ર દળની ‘કંપની’ની સ્થાપના કરી…
ઘુમુસર ઉત્તરના વિભાગીય વન અધિકારી(ડીએફઓ) હિમાંશુ શેખર મોહંતીએ જણાવ્યું કે આ કેન્દ્રમાં ઓછામાં ઓછા આઠ હાથીઓ રાખવાની ક્ષમતા હશે. આ કેન્દ્ર પર આશરે ૩ કરોડ રૂપિયા ખર્ચ થશે. ઘુમુસર ઉત્તર વિભાગમાં ૭૦થી વધુ હાથીઓ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.