ભારત મ્યાનમાર સરહદે 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

નવી દિલ્હી : ભારત અને મ્યાનમાર સરહદે મંગળવારે વહેલી સવારે 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેના આંચકા ભારતના રાજ્યોમાં આસામ, મણિપુર અને નાગાલેન્ડ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે 6:10 વાગ્યે ભારત-મ્યાનમાર સરહદ નજીક આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ મણિપુરના ઉખરુલથી માત્ર 27 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 15 કિમી નીચે હતું.
ભૂકંપનું કેન્દ્ર નાગાલેન્ડમાં વોખાથી 155 કિમી દુર
આ અંગે મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નાગાલેન્ડમાં વોખાથી 155 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, દિમાપુરથી 159 કિમી દક્ષિણપૂર્વમાં અને મોકોકચુંગથી 177 કિમી દક્ષિણમાં હતું. ભૂકંપના કારણે ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. હાલ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
21 સપ્ટેમ્બરના રોજ મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ઉલ્લેખનીય છે કે, 21 સપ્ટેમ્બરના રોજ મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જયારે બાંગ્લાદેશમાં 4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ મેઘાલય સાથેની બાંગ્લાદેશ સરહદ નજીક સવારે 11.49 વાગ્યે આવ્યો હતો. જોકે, મેઘાલયમાં કોઈ નુકસાન કે જાનહાનિ નહોતી થઈ.
આ પણ વાંચો…અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ…