DRDOની ઐતિહાસિક સફળતા: વધુ એક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ... મુંબઈ સમાચાર

DRDOની ઐતિહાસિક સફળતા: વધુ એક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ…

નવી દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દેશની આ સફળતાને કારણે દુશ્મનોનો પરસેવો છૂટી જવાનો છે. આજે મંગળવારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ઓડિશાના દરિયાકિનારે ચાંદીપુરની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી (ITR) લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલનું (LRLACM) પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વના શક્તિશાળી દેશો પણ ભારતના સંરક્ષણ ઉપકરણોના વખાણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતે આજે વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.

આ પણ વાંચો : DRDO ના અધિકારીએ બનાવી આધુનિક સ્વદેશી પિસ્તોલ, જાણી લો શું છે ખાસિયત?

આ પરીક્ષણ મોબાઈલ આર્ટિક્યુલેટેડ લોન્ચર વડે કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન, બધી સબસિસ્ટમ્સ અપેક્ષા મુજબ કાર્ય કરે છે અને તેમના મુખ્ય લક્ષ્યોને પૂર્ણ કર્યું છે. મિસાઇલના પ્રદર્શન પર નજર રાખવા માટે, ફ્લાઇટ પાથને સંપૂર્ણપણે આવરી લેવા માટે ITR દ્વારા વિવિધ સ્થળોએ રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ (EOTS) અને ટેલિમેટ્રી જેવા કેટલાક રેન્જ સેન્સર તૈનાત કરવામાં આવ્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યા અભિનંદન:

DRDOએ લોંગ રેન્જ ગ્રાઉન્ડ એટેક મિસાઈલના આ પરીક્ષણને મોટી સફળતા ગણાવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રથમ ફ્લાઇટના સફળ પરીક્ષણ પર DRDO, સશસ્ત્ર દળો અને ઉદ્યોગ જગતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ ભાવિ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ વિકાસ કાર્યક્રમો માટે માર્ગ મોકળો કરે છે. દરમિયાન, સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે આ સફળ પ્રક્ષેપણ પર DRDOની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : DRDO એ આધુનિક મિસાઈલ VSHORADS નું ત્રીજું સફળ પરીક્ષણ કર્યું, હવાઇ હુમલા વિરુદ્ધ વધશે સુરક્ષા

સૂત્રોએ જણાવ્યું કે એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલને યુદ્ધ જહાજ અને દરિયાકાંઠાના બંને સ્થળોએથી લોન્ચ કરી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે આ મિસાઈલ સિસ્ટમ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવી રહી છે અને તેનાથી દુશ્મનના જહાજોને લાંબા અંતરથી તોડી પાડવાની ક્ષમતા મળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઓફિસે પણ ટ્વિટ કરીને વૈજ્ઞાનિકોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Back to top button