
નવી દિલ્હી: સમગ્ર ભારત દેશમાં હાલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ઇન્ટરનેટ અને સમાચાર માધ્યમો પણ રામ મંદિરના સમાચારો અને માહિતીઓથી ધમધમી રહ્યું છે. રામ મંદિર અને તેના કાર્યક્રમને લાગતી માહિતીઓ અને વિવિધ અપડેટ્સનો મારો સતત મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા આવા વિવિધ મધ્યમોને એક ખાસ અપીલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર કાર્યક્રમ સંબંધિત ખોટી, બનાવટી સામગ્રી (fake content) પ્રકાશિત કરવાથી દૂર રહેવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલ સોશિયલ મીડિયા પર રામ મંદિરને લઈને ઘણા ફેક ન્યૂઝ પણ ફેલાય રહ્યા છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તેણે અવલોકન કર્યું છે કે “ચોક્કસ અનવેરિફાઇડ, ઉશ્કેરણીજનક અને નકલી મેસેજ્સ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે કોમી એક્તા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે”. પોતાની નૈતિક જવાબદારી સમજીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સલાહ આપવામાં આવે છે ઉપર જણાવેલી માહિતીઓ પબ્લીશ, પ્રદર્શિત કે હોસ્ટ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
ઈ-કોમર્સ સાઈટ એમેઝોનને શુક્રવારે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તરફથી ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ની યાદી દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. એમેઝોને જણાવ્યું હતું કે તે તેની પોલિસીને અનુરૂપ આવા લિસ્ટિંગ સામે યોગ્ય પગલાં લઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલા જ WhatsaApp પર એક QR કોડ સાથે ફેક મેસેજ વાયરલ થયો હતો જેમાં તત્કાળ VIP દર્શનની ટિકિટ માટે દાવો કરવામાં આવતો હતો. જ્યારે આ મેસેજને ખોટો ગણાવતા મંદિર ટ્રસ્ટ દ્વારા ચોખવટ કરવામાં આવી હતી કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માત્ર આમંત્રિત મહેમાનો જ પ્રવેશ છે જેની યાદી ખુદ ટ્રસ્ટે જ તૈયાર કરી હતી.