
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચેના સબંધોના સુધારના સંકેત મળી રહ્યા છે. જેમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષના વિરામ બાદ રવિવારથી સીધી ફ્લાઈટ સર્વિસ શરુ થશે. જેને ચીને બંને દેશો વચ્ચે મિત્રતાની નવી ઉડાન ગણાવી છે. ચીને શુક્રવારે કહ્યું હતું કે તે ભારત સાથેના તેના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના છે. ભારત અને ચીન વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ થવી એ 28 અરબથી વધુ વસ્તી ધરાવતા બંને દેશો વચ્ચે મૈત્રીને પ્રોત્સાહન આપવા માટે એક સકારાત્મક પગલું છે.
ભારતે 2 ઓક્ટોબરે જાહેરાત કરી હતી
આ અંગે ભારતે 2 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે 26 ઓક્ટોબરથી ચીન સાથે સીધી ફ્લાઇટ્સ સેવા ફરી શરૂ થશે. ઇન્ડિગોએ જાહેરાત કરી હતી કે તે 26 ઓક્ટોબરથી કોલકાતા-ગુઆંગઝોઉ અને 10 નવેમ્બરથી દિલ્હી-ગુઆંગઝોઉ ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. ચીની એરલાઇન ચાઇના ઇસ્ટર્નએ જાહેરાત કરી હતી કે તે 9 નવેમ્બરથી શાંઘાઈ-દિલ્હી ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ચીન અને ભારતના 2.8 અબજથી વધુ લોકો વચ્ચે મૈત્રીપૂર્ણ આદાનપ્રદાનને સરળ બનાવવા માટે આ એક સકારાત્મક પગલું છે.
કોવિડ-19 રોગચાળા બાદ ફ્લાઈટ સેવા સ્થગિત
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળાને કારણે વર્ષ 2020 માં બંને પક્ષો વચ્ચે ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સરહદી અવરોધને કારણે તે ફરી શરૂ કરવામાં આવી ન હતી, જે ગતિરોધ ગત ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ સમાપ્ત થયો હતો.




