
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણના કારણે રાજધાની દિલ્હીની દશા બગડી રહી છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં હવાનું પ્રદૂષણ સતત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે લાખો રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર સંકટ ઊભું થયું છે. આજે સવારે નોઇડાનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 460 થી વધુ નોંધાયો, જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં સરેરાશ AQI 453 પર પહોંચી ગયો છે, જ્યારે અનેક વિસ્તારોમાં આ આંકડો 600 ને પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે, આ પ્રદૂષણ સ્તર સતત 10 થી 15 સિગારેટ પીવા જેટલો હાનિકારક છે. અન્ય શહેરોમાં ગાઝિયાબાદમાં AQI 510 (ગંભીર શ્રેણી), હાપુડમાં 431, અને બુલંદશહેરમાં 366 AQI નોંધાયો છે.
પ્રદૂષણના આ ખતરનાક સ્તરને કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી છે. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ખરાશની ફરિયાદો વધી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરોગ્ય નિષ્ણાતોએ બાળકો, વૃદ્ધો અને હૃદયરોગના દર્દીઓ સહિત સંવેદનશીલ જૂથોને વિશેષ સાવચેતી રાખવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ વિષમ હવામાનમાં લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમોને ટાળવા માટે જાહેર જનતાને માસ્ક પહેરવા અને ઇન્ડોર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.
વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, દિલ્હી સરકારે કેટલાક તાત્કાલિક પગલાં લીધાં છે. સરકારે ખાનગી ઓફિસો માટે એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમને 50 ટકા ઓન-સાઇટ વર્કફોર્સ ક્ષમતા પર કામ કરવા જણાવ્યું છે. આ દરમિયાન, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે. આ નિર્ણય કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ના નવા નિર્દેશો અનુસાર લેવામાં આવ્યો છે, કારણ કે દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-3 ના નિયંત્રણો લાગુ છે.



