Delhiમાં એમસીડીની બેદરકારી, કાર્ડ બોર્ડથી ઢાંકી ગટર, પગ મૂકતા જ 7 વર્ષનો બાળક ગટરમાં પડયો

નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi) એમસીડીની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે, જેમાં સાત વર્ષના બાળકનો જીવ બચી ગયો છે. દક્ષિણ દિલ્હીની એક પબ્લિક સ્કૂલમાં ધોરણ 3માં ભણતો બાળક શુક્રવારે ડિફેન્સ કોલોનીના બ્લોક ડીમાં કાર્ડબોર્ડથી ઢંકાયેલા ગટર પડ્યો હતો. તેના પિતા સવારે 8 વાગે છોકરાને શાળાએ મૂકવા જતા હતા. તેની સાથે તેની માતા અને નાની બહેન પણ હતી.
તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી
જ્યારે છોકરો શાળાની બહાર કારમાંથી ઉતર્યો ત્યારે તેણે અજાણતામાં તેનો પગ કાર્ડબોર્ડની શીટ પર મૂક્યો. જેની નીચે એક ગટર હતી. વજન પડતાં જ કાર્ડબોર્ડ તૂટી ગયું અને બાળક ગટરમાં પડી ગયો. જેમાં નજીકમાં ઉભેલા લોકો અને બાળકના માતા-પિતા તરત જ એક્શનમાં આવ્યા અને તેને ગટરમાંથી બચાવવામાં સફળ રહ્યા. છોકરાને તાત્કાલિક એઈમ્સ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
શહેરમાં ગટરના ઓડિટ પર સવાલો ઉઠાવ્યા
બાળકના પિતા, જેઓ બેંક કર્મચારી છે, તેમણે કહ્યું કે ગટરનું ઢાંકણ તે જ સ્થળે એક બાજુએ રાખવામાં આવ્યું હતું અને તેની ખોલીને તેની પર પર કાર્ડબોર્ડનું કવર મૂકવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બાળકના પિતા અકસ્માત માટે MCDને જવાબદાર ઠેરવતા જોવા મળ્યા હતા. તેમણે શહેરમાં ગટરના ઓડિટ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે MCDના અધિકારીઓએ આ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ.
પોલીસને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી
બાળકના પિતાએ કહ્યું, ‘જો કોઈ વૃદ્ધ પુરુષ કે મહિલા ગટરમાં પડી ગયા હોત તો શું થાત? આ ઘટના માટે કઇ સત્તાને જવાબદાર ઠેરવવી જોઈએ?’. પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા તરફથી તેમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ગાઝીપુર વિસ્તારમાં નિર્માણાધીન ગટરમાં પડી જવાથી એક મહિલા અને તેના પુત્રના મોતના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી.
પાણી ભરાવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત
થોડા ભારે વરસાદ બાદ સમગ્ર દિલ્હીમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. જુલાઇ 27 ના રોજ, જૂના રાજેન્દ્ર નગર વિસ્તારમાં સ્થિત રાઉ IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદી પાણી ભરાવાને કારણે UPSCની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી જતા મોત થયા હતા.દિલ્હીમાં વરસાદને કારણે પાણી ભરાવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.