‘તમારા કારણે તિહાર જેલમાં ભીડ વધી રહી છે…’ દિલ્હી HCએ કેજરીવાલ સરકારને ફટકાર લગાવી
![Delhi High Court expressing concern over the poor state of government schools in North-East Delhi](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Delhi-High-Court.webp)
દિલ્હી સરકાર અવારનવાર દાવો કરતી રહે છે કે પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા દેશમાં સર્વશ્રેષ્ઠ છે, દેલ્હીથી શિક્ષણ ક્રાંતિની શરૂઆત થઇ છે. એવામાં દિલ્હી હાઈકોર્ટ(Delhi High court)એ શાળાઓની ખરાબ હાલત માટે દિલ્હીની સરકાર(Delhi Government)ની આકરી ઝાટકણી કાઢી છે. એક અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કોર્ટે શિક્ષણ સચિવને કહ્યું કે સરકાર આ મામલામાં તેમના સોગંદનામાને તાત્કાલિક અમલમાં લાવે અને પરિસ્થિતિમાં ફેરફાર કરે, અન્યથા તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે.
વકીલ અશોક અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે સુનાવણી કરી હતી. બેંચે દિલ્હીના શિક્ષણ વિભાગના સચિવને કોર્ટમાં બોલાવ્યા હતા. બેન્ચે દિલ્હીના શિક્ષણ સચિવને કહ્યું કે શાળાઓની ખરાબ સ્થિતિને બદલવા તેમના સોગંદનામામાં આ તરફ ધ્યાન આપવામાં આવે, અન્યથા તમારી સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે.
કોર્ટે કહ્યું કે અરજીમાં ઉત્તર પૂર્વ દિલ્હીની દસ શાળાઓને નમૂના તરીકે લેવામાં આવી છે, જ્યાં બેન્ચ અને ડેસ્ક તૂટેલા છે. તેમજ શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી.
જસ્ટિસ મનમોહને એમ પણ કહ્યું કહ્યું કે તમારી બેદરકારીને કારણે તિહાર જેલમાં સમસ્યા અને ભીડ બંને વધી છે. તિહાર જેલમાં દસ હજાર કેદીઓની ક્ષમતા છે, પરંતુ ત્યાં 23 હજાર કેદીઓને રાખવામાં આવ્યા છે. તમે યુવા પેઢીનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છો.
કોર્ટે કહ્યું કે જો તમારા અધિકારીઓ આળસુ અને અસમર્થ છે, તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે તેઓ સમયસર અને ઈમાનદારીથી ફરજ કેવી રીતે નિભાવવે.