ED-Kejariwal: કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થશે કે નહીં? સસ્પેન્સ યથાવત | મુંબઈ સમાચાર

ED-Kejariwal: કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થશે કે નહીં? સસ્પેન્સ યથાવત

નવી દિલ્હી: કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ અંગે EDએ દિલ્હીના મુખ્ય પ્રધાનને મોકલેલા સમન્સ મુજબ અરવિંદ કેજરીવાલને આજે ગુરુવારે પૂછપરછ માટે હાજર થવાનું છે. જો કે હજુ સુધી અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવા અંગે કોઈ સંકેત આપ્યા નથી. આ મામલે બુધવારે એક કાર્યક્રમમાં મીડિયાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે અને અભિપ્રાય મુજબ આગળનું પગલું ભરશે. તેઓ આજે ગુરુવારે ગોવામાં એક કાયક્રમમાં પણ જવાના છે.

EDએ તેમને 18 જાન્યુઆરીના રોજ હાજર થવા સમન્સ મોકલ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા દિવસોથી કહી રહ્યા છે કે મુખ્ય પ્રધાન ED સમન્સ અંગે વકીલોની સલાહ લઈ રહ્યા છે. કેજરીવાલે પણ બુધવારે મીડિયાને કહ્યું કે તેઓ કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે. આ સિવાય AAPએ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને ગુરુવારે સવારે નવી દિલ્હી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકઠા થવાનો સંદેશ મોકલ્યો નથી. તેથી છેલ્લા ત્રણ વખતની જેમ મુખ્ય પ્રધાન ઇડી સમક્ષ હાજર થાય તેવી શક્યતા ઓછી જણાઇ રહી છે.


કેજરીવાલે અગાઉ મળેલા ત્રણ ED સમન્સ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ત્રણેય વખત EDને લેખિત જવાબ મોકલ્યો અને તેના સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા. તેમણે ત્રણેય વખત કહ્યું કે EDના સમન્સમાં તેને સમન્સ મોકલવાનું કારણ સ્પષ્ટ નથી. જ્યારે તેઓ સમન્સમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરશે, ત્યારે તેઓ હાજર થવાનું વિચારશે. ગત વખતે તેમણે EDને લેખિત પ્રશ્નો મોકલવાનું પણ સૂચન કર્યું હતું.

Back to top button