દિલ્હી વિસ્ફોટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, સાત દિવસના રિમાન્ડ મંજુર…

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસની એનઆઈએ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એનઆઈએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. નસીર મલ્લા નામના આરોપીને એનઆઈએ ધરપકડ કરીને પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કર્યો હતો. જેના સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જયારે અન્ય એક આરોપી આમિર રાશિદને પણ કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડમાં આપવામાં આવ્યા છે.
એનઆઈએ હેડક્વાર્ટરમાં પૂછતાછ
આરોપી નસીર મલ્લાની સાત દિવસ સુધી એનઆઈએ હેડક્વાર્ટરમાં પૂછતાછ કરવામાં આવશે.તેમજ તેની જોડે અન્ય આરોપીઓની પણ પુછતાછ કરવામાં આવી શકે છે. જયારે અન્ય આરોપી આમિર રાશિદને પણ સાત દિવસ માટે રિમાન્ડ આપવામાં આવ્યા છે. દિલ્હી વિસ્ફોટ અને ડોક્ટરોના આતંકવાદી મોડ્યુલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએ દ્વારા આમિરની 16 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ પટિયાલા હાઉસ કોર્ટે તેને બે વાર અલગ અલગ તારીખે રિમાન્ડ આપ્યા હતા. જયારે આજે ફરીથી તેને રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.
ડૉ. શાહીન સઈદની કસ્ટડી ચાર દિવસ માટે લંબાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી બ્લાસ્ટ કેસના ચાર મુખ્ય આરોપીઓને સોમવારે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ડૉ. મુઝમ્મિલ, ડૉ. આદિલ, મુફ્તી ઇરફાન અને ડૉ. શાહીન સઈદની કસ્ટડી ચાર દિવસ માટે લંબાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય આરોપી સોયબ જેણે વિસ્ફોટ પૂર્વે ડો. ઉમરને આશ્રય આપ્યો હતો. કોર્ટે તેની એનઆઈએ કસ્ટડી પણ 10 દિવસ લંબાવી છે.
એનઆઈએ સહિત અનેક રાજ્યોની પોલીસે પણ તપાસ શરૂ કરી
એનઆઈએ અત્યાર સુધીમાં 73થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી છે. જેમાં દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં એનઆઈએ ઉપરાંત દિલ્હી પોલીસ, જમ્મુ અને કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ અને વિવિધ અલગ અલગ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. જેમાં વિવિધ રાજ્યોમાં પણ સમગ્ર મોડ્યુલની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટના તાર કાશ્મીર સુધી! NIAની આઠ સ્થળો પર સઘન તપાસ



