નેશનલ

દલાઈ લામાએ ઉત્તરાધિકારીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું, કહ્યું હું બીજા 30-40 વર્ષ જીવીશ

ધર્મશાળા: તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ શનિવારે તેમના 90મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ ધર્મશાળાના મેકલિયોડગંજ સ્થિત મુખ્ય મંદિર ત્સુગલાખાંગમાં આયોજિત એક ખાસ પ્રાર્થના સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેમણે તેમના સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર અંગેની અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમને કરુણાના બૌદ્ધ દેવતાના આશીર્વાદ છે અને તેઓ આગામી 30-40 વર્ષ સુધી લોકોની સેવા કરવા માંગે છે. આ સાથે જે તેમણે
ઉત્તરાધિકારીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

હું 130 વર્ષથી વધુ જીવવા માંગુ છું

આ સમારંભમાં હાજર 15,000 થી વધુ ભક્તોને સંબોધતા દલાઈ લામાએ કહ્યું, “મને ઘણા સંકેતો મળ્યા છે કે અવલોકિતેશ્વરના(કરુણાના બૌદ્ધ દેવતા) આશીર્વાદ મારી સાથે છે. મેં અત્યાર સુધી મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે અને મને આશા છે કે હું 30-40 વર્ષ વધુ જીવીશ. મને તમારી પ્રાર્થનાઓનું ફળ મળ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બાળપણથી જ તેમને લાગતું હતું કે અવલોકિતેશ્વર સાથે તેમનો ઊંડો સંબંધ છે. હસતાં હસતાં તેમણે કહ્યું, હું 130 વર્ષથી વધુ જીવવા માંગુ છું જેથી હું બૌદ્ધ ધર્મ અને તિબેટના લોકોની વધુ સેવા કરી શકું.

ઉત્તરાધિકારીની અફવાઓ ફગાવી

તાજેતરમાં, દલાઈ લામાના ઉત્તરાધિકારીની જાહેરાત અંગે ઘણી અફવાઓ ઉડતી હતી, ખાસ કરીને કારણ કે તેમનો ૯૦મો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. પરંતુ આ પ્રસંગે, સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ પેનપા ત્સેરિંગે આ અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી. તેમણે કહ્યું કેટલાક લોકો વિચારી રહ્યા છે કે દલાઈ લામા ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરશે અથવા તેમના મૃત્યુ વિશે વાત કરશે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેઓ કહે છે કે તેઓ વધુ જીવશે. આપણે તેમની પરંપરાને સમજવી જોઈએ. આ પ્રસંગે, તેમણે ચીની નેતા માઓ ત્સે-તુંગ સાથે સંબંધિત એક ઘટનાને પણ યાદ કરી.

માઓ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો

દલાઈ લામાએ તેમના ભાષણમાં કહ્યું કે ભલે તિબેટીઓએ પોતાનો દેશ ગુમાવ્યો હોય અને ભારતમાં નિર્વાસિત રહી રહ્યા હોય તેઓ હજુ પણ બીજાઓના કલ્યાણ માટે કામ કરતા રહેશે. તેમણે કહ્યું, ભલે તે ધર્મશાળામાં રહેતા લોકો હોય કે દુનિયાના અન્ય કોઈ પણ ભાગમાં હું બધાની સેવા કરવા અને કલ્યાણ માટે કામ કરવા માંગુ છું. તેમણે ચીની નેતા માઓ ત્સે-તુંગ સાથેની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે માઓએ કહ્યું હતું કે, ધર્મ ઝેર છે. દલાઈ લામાએ કહ્યું કે તેમણે આનો જવાબ આપ્યો નહીં પરંતુ માઓ પ્રત્યે કરુણાની લાગણી હતી.

આ પણ વાંચો…દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ: ‘ધાર્મિક આસ્થામાં દખલ નહીં’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button