નેશનલ

બિહારમાં વધુ એક પુલ કૌભાંડ? નીતીશ કુમારે ઉદ્ઘાટન કર્યાના ત્રણ દિવસમાં પુલ પર તિરાડો દેખાઈ

પટના: છેલ્લા ઘણા સમયથી બિહારમાં પુલ તૂટી પડવાની ઘણી ઘટનાઓ બની હતી, જેના વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. રાજકીય પક્ષો સતત એક બીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ લગાવી રહ્યા છે. એવામાં બિહારની રાજધાની પટનામાં એક પુલના બાંધકામમાં ગંભીર ખામીના અહેવાલ છે.

સોશિયલ મીડિયા પર પટનામાં જેપી ગંગા પથ (જેપી સેતુ)નો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પુલ પરની તિરાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલા, મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ ત્રણ દિવસમાં જ આ પુલમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. જેને કારણે બાંધકામ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
અહેવાલ મુજબ પટનાનો જેપી ગંગા પથ 3831 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ત્રણ દિવસ પહેલા જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પુલના પીલ્લર નંબર A-3 પાસે આ તિરાડો જોવા મળી રહી છે. પુલની બંને લેનમાં આ તિરાડો દેખાય છે.

9 એપ્રિલે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પટનાના કંગન ઘાટથી દિદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, બિહારના બંને નાયબ મુખ્યપ્રધાનો, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, માર્ગ બાંધકામ પ્રધાન નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મંચ પર હાજર હતા.

આપણ વાંચો:  મેહુલ ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની તૈયારીમાં જ હતો, ભારતીય અધિકારીઓએ આ રીતે રોક્યો

બાંધકામ સામે સવાલ:
ઉદ્ઘાટન બાદ પુલ પરથી વાહનોની અવરજવર શરુ થઇ હતી. વાહનોનું દબાણ વધતા રોડ પર તિરાડો પડી ગઈ. તિરાડો જોઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે. શંકા છે કે બાંધકામની ગુણવત્તા સાથે ક્યાંક બાંધછોડ કરવામાં આવી છે.

એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કરી દીધું છે. તિરાડો દેખાવાથી ખ્યાલ આવે છે કે ઉદ્ઘાટન પહેલાં ટેકનિકલ પરીક્ષણો અને સેફટી ચેક યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button