
નવી દિલ્હીઃ ગુજરાત સહિત ભારતમાં ફરી એકવાર કોરોના (COVID-19)એ દેખા દીધા છે. દેશમાં કોરોનાના કેસ સતત વધતા હોવાના આંકડા પ્રકાશમાં આવી રહ્યાં છે. ચીન, સિંગાપુર અને હોંગ કોંગ જેવા દેશોમાં તો કોરોના કેસ વધી રહ્યાં છે, પરંતુ સાથે સાથે ભારતમાં પણ કેસ વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે કોરોનાના એક બે નહીં પરંતુ ચાર વેરિયન્ટ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેથી કયો વેરિયન્ટ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે? તેના વિશે કોઈ ચોક્કસ કહી શકાય નહીં. પરંત નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યારે લોકોને વધારે ડરવાની કોઈ જ જરૂર નથી, માત્ર તકેદારી રાખવાની જરૂર છે.
કોરોના કેસોને ધ્યાને રાખતા આરોગ્ય મંત્રાલયે આપી ખાસ સૂચનાઓ
દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના દરેક રાજ્યો માટે સૂચના આપવામાં આવી છે. જેમાં રાજ્યોને નિવારક પગલાં લેવા, મોટા મેળાવડા અટકાવવા અને ફેસ માસ્કના ઉપયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે. ભારતમાં હાલમાં સૌથી વધુ ફેલાતો પ્રકાર JN.1 છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્થાપિત ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ડેટા અનુસાર, કોરોનાના એક કે બે નહીં પરંતુ ચાર પ્રકારો – JN.1, NB.1, 8.1, LF.7 – આ દિવસોમાં સક્રિય છે. આ બધા ઓમિક્રોનના પેટા પ્રકારો છે. કોરોના પાછો આવ્યો જેના કારણે ચિંતાઓ વધી છે, પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે વાયરસથી ડરવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રાલય દ્વારા કેવી સલાહ આપવામાં આવી?
દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ દરેક રાજ્યોને સૂચના આપી દેવામાં આવી છે. આમાં, રાજ્યોને નિવારક પગલાં લેવા, મોટા મેળાવડા અટકાવવા અને ફેસ માસ્કના ઉપયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનને 2 જૂન સુધીમાં તમામ જિલ્લા અને ઉપ-જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને આરોગ્ય સંસ્થાઓમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, ICU, આવશ્યક દવાઓ અને PPE કીટની ઉપલબ્ધતા અંગે વ્યાપક અહેવાલ રજૂ કરવા પણ કહ્યું છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવી જરૂરી છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાં કેટલી છે?
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 68 પોઝિટિવ કેસ નોંધાતા હતાં. અત્યારે ગુજરાતમાં કુલ 265 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બાકીના 254 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 26 દર્દીઓનું રિપોર્ટ નોર્મલ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ભારતમાં કોરોના કેસની સ્થિતિ કેવી છે?
ભારતમાં કોરોનાના કુલ 2710 સક્રિય કેસ છે, છેલ્લા 24 કલાકમાં 511 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 255 લોકો સ્વસ્થ પણ થયા છે. 7 લોકોનું મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં અત્યારે ગઈ કાલે 84 લોકો કોરોના કેસ નોંધાયા હતા. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ 651 કેસ એક્ટિવ છે. રાજસ્થાનમાં કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 15 નવા કેસ નોંધાયા છે. જયપુરમાં 7, બિકાનેરમાં 3 અને ઉદયપુરમાં 2 કેસ મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના કેસની સંખ્યા 59 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નોઈડામાં 19 નવા કેસ નોંધાયા, જેનાથી જિલ્લામાં સક્રિય કેસની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે. યુપીમાં કોરોનાને કારણે 2 લોકોના મોત પણ થયાં છે.