નેશનલ

‘અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે’: PM મોદી અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઐતિહાસિક વાતચીત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર પહોંચેલા ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે, “તમે તમારી સાથે જે ગાજરનો હલવો લઈ ગયા છો, શું તે તમારા મિત્રોને ખવડાવ્યો?” જેના જવાબમાં શુક્લાએ ઉત્સાહભેર કહ્યું, “હા, પ્રધાનમંત્રીજી, મેં મારા સાથીઓને અલગ-અલગ હલવો ખવડાવ્યો છે.”

અવકાશમાંથી ભારતનો અદભુત નજારો
શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી પોતાના અનુભવો વર્ણવતા કહ્યું, “જ્યારે મેં પહેલીવાર અવકાશમાંથી ભારતને જોયું, ત્યારે ભારત ખૂબ ભવ્ય દેખાય છે. તે નકશામાં જોવા કરતાં પણ ઘણું મોટું છે. અવકાશમાંથી એવું લાગે છે કે જાણે આખી પૃથ્વી પોતાની છે અને ક્યાંય કોઈ સરહદ નથી.”

ઐતિહાસિક અવકાશ યાત્રા
શુક્લાએ ૨૫ જૂનના રોજ નાસાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને એક્સિઓમ-૪ મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS)ની યાત્રા શરૂ કરી છે. આ યાત્રા ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે ૪૧ વર્ષ પછી શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા છે. રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા તેઓ બીજા ભારતીય છે.

વૈજ્ઞાનિક પ્રયોગો અને ભવિષ્યની યોજના
ISS પર ૧૪ દિવસના તેમના રોકાણ દરમિયાન શુભાંશુ શુક્લા અને તેમની ટીમ લગભગ ૬૦ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાં ઈસરો દ્વારા ડિઝાઇન કરાયેલા ૮ પ્રયોગોનો પણ સમાવેશ થાય છે. આ પ્રયોગોમાં માઇક્રોએલ્ગી અને સલાડના બીજ ઉગાડવા જેવા અભ્યાસ સામેલ છે. શુક્લાએ અવકાશમાંથી પોતાના પ્રથમ સંદેશમાં આ યાત્રાને “અદભુત સવારી” ગણાવી હતી.

તેમણે કહ્યું કે તેઓ પૃથ્વીને ૪૦૦ કિલોમીટરની ઊંચાઈથી જોવાનો અનુભવ મેળવીને અભિભૂત છે. તેમણે પોતાના ખભા પર ગર્વથી ભારતીય ત્રિરંગો લઈને જવાની વાત કરી અને તેને ભારતના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમની શરૂઆત ગણાવી. તેઓ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ અને ભારતની અવકાશ ઇન્ડસ્ટ્રી સાથે પણ વાતચીત કરશે.

આપણ વાંચો : શુભાંશુની સફળતા પાછળ છે પત્ની કામનાનો હાથ, ત્રીજા ધોરણથી છે બંને એકમેકની સાથ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button