નેશનલ

શાકાહારીને માંસાહારી ફૂડ ડિલિવરી: ગ્રાહક કમિશને કહ્યું, ચુસ્ત શાકાહારી છો તો આવી જગ્યાએથી ઓર્ડર શું કામ આપો છો?’

મુંબઈઃ માંસાહારી વસ્તુથી જો ચુસ્ત શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય છે તો આવી જગ્યાએથી ઓર્ડર શા માટે આપે છે? તેવો પ્રશ્ન કરીને અહીંના ગ્રાહક નિવારણ પંચે એક શાકાહારી ફરિયાદીની અરજી ફગાવી દીધી હતી.

ફરિયાદીઓના જણાવ્યા મુજબ તેમણે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ મુંબઈના સાયન ખાતેના વાવ મોમોસ આઉટલેટમાંથી સોફ્ટ ડ્રિંક સાથે સ્ટીમ્ડ ‘દાર્જિલિંગ મોમો કોમ્બો’નો ઓર્ડર આપ્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે તેમણે બે વાર તેમની શાકાહારી પસંદગી પર ખાસ ભાર મૂક્યો હતો. જોકે, તેમને સ્ટીમ્ડ “ચિકન દાર્જિલિંગ મોમો” મળ્યા.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરાંના કર્મચારીઓએ તેમની સૂચનાઓની અવગણના કરી હતી અને આઉટલેટ પરના ડિસ્પ્લે બોર્ડ પર કોમ્બો માટે શાકાહારી કે માંસાહારી વિકલ્પો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા નહોતા. ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે કંપનીની બેદરકારીને કારણે તેમને માનસિક આઘાત, ભાવનાત્મક તકલીફ અને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

તેમને થયેલી તકલીફ માટે ૬ લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. બીજી તરફ, કંપનીએ દલીલ કરી હતી કે ફરિયાદીઓએ પોતે જ માંસાહારી વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો, જેમ કે ઇન્વોઇસમાં દર્શાવવામાં આવ્યું છે.

તેણે આરોપ લગાવ્યો હતો કે ફરિયાદીઓએ તેમના કર્મચારીનું શારીરિક શોષણ કર્યું હતું અને મુશ્કેલી ઊભી કરી હતી, જેના કારણે તેમને ઓર્ડર પરત કરવો પડ્યો હતો અને ઉત્પાદનો મફતમાં પૂરા પાડવા પડ્યા હતા. કંપનીએ રજૂઆત કરી હતી કે રિફંડને કારણે ફરિયાદીઓ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ “ગ્રાહકો” નથી.

કથિત વર્તન છતાં, કંપનીએ કહ્યું કે તેણે સદ્ભાવના તરીકે રૂ. ૧,૨૦૦ની કિંમતનું ગિફ્ટ વાઉચર ઓફર કર્યું હતું, પરંતુ ફરિયાદીઓએ દરેક રૂ. ૩ લાખની માંગણી કરી હતી. ફરિયાદ કંપનીને હેરાન કરવાના બદનક્ષીભર્યા ઇરાદા સાથે દાખલ કરવામાં આવી હતી, એવો દાવો તેણે કર્યો હતો.

કમિશને નોંધ્યું હતું કે નોન-વેજ મોમોઝનો ઓર્ડર આપ્યો હોવાનું જણાય છે. જોકે, ઓફર બોર્ડના ફોટામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે બાફેલા દાર્જિલિંગ મોમો કોમ્બો શાકાહારી છે કે નોન-વેજ, પરંતુ નીચે “વેજ/નોન-વેજ”નો ઉલ્લેખ હતો, જે બંને વિકલ્પોની ઉપલબ્ધતા સૂચવે છે.

અંતિમ આદેશમાં કમિશને જણાવ્યું કે ફરિયાદીઓ દાવો પુરવાર કરવામાં અથવા વિગતો આપવામાં નિષ્ફળ ગયા હતા, અને કંપની તરફથી સેવામાં કોઈ ખામી દર્શાવી શક્યા નથી. એ વાજબી લાગે છે કે “એક સમજદાર વ્યક્તિ ખાતા પહેલા શાકાહારી અને માંસાહારી ખોરાક વચ્ચે તફાવત કરી શકશે,” એમ મુંબઈ ઉપનગરીય (વધારાના) જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે ગયા મહિને પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button