મિશન 2024 માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને યુપીની લડાઈમાં ઉતારવાની યોજના

નવી દિલ્હીઃ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં જે પણ પક્ષને સૌથી વધુ બેઠકો મળે છે, કેન્દ્રમાં સરકાર તે પક્ષની જ બને છે. એટલે કે આપણે કહી શકીએ કે કેન્દ્રમાં શાસન કરવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી જ જાય છે અને તેથી જ કદાચ આગામી લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોની નજર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ પર છે. આમ પણ જોવા જઇએ તો સંયુક્ત રીતે ઘણા રાજ્યોની લોકસભા બેઠકો એકલા ઉત્તર પ્રદેશની બેઠકો બરાબર છે.
તેથી તમામ પક્ષો ઉત્તર પ્રદેશમાં મહત્તમ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. તમામ પક્ષોએ અત્યારથી જ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને યુપીથી 2024ની રેસમાં ઉતારવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હાથમાં જવાબદારી આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં જીત મેળવી છે.
આનો સંપૂર્ણ શ્રેય મલ્લિકાર્જુન ખડગે અને તેમની કામ કરવાની રીતને આપવામાં આવે છે. જોકે, છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ દયનીય રહ્યું છે અને ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કૉંગ્રેસ તેનો ગુમાયેલો જનાધાર પરત મેળવવા માગે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ પાર્ટીની ટોચની નેતાગીરી હવે પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓને ઉત્તર પ્રદેશમાંથી 2024ની ચૂંટણી લડવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યુપીમાં કોઈપણ અનામત બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કૉંગ્રેસનું માનવું છે કે યુપીમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીનો જાદુ ઓસરી ગયો છે. કોંગ્રેસ પાર્ટીની નજર દલિતોના મતો પર છે અને આ જ કારણોસર પાર્ટીની થિંક ટેન્ક મલ્લિકાર્જુન ખડગેને યુપીથી ચૂંટણીની રેસમાં ઉતારવાની યોજના બનાવી રહી છે.
કોંગ્રેસના પદાધિકારીઓનો દાવો છે કે મલ્લિકાર્જુન ખડગેની યુપીથી ચૂંટણી લડવાની યોજના દલિત મતબેંકને સાધવા માટે બનાવવામાં આવી રહી છે. યુપીમાં કોંગ્રેસના નવા પ્રમુખ અજય રાયે સોમવારે મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે ભાજપને સત્તા પરથી હટાવવા માટે જરૂરી છે કે તમામ પક્ષો તરફથી એનડીએ સામે એક જ ઉમેદવાર હોય.