નેશનલ

સ્મરણાંજલિઃ પિતાએ દીકરાનું નામ બદલ્યું ને દીકરાએ નામને સાર્થક કર્યું

“मदिरालय जाने को घर से चलता है पीने वाला, ‘किस पथ से जाऊं?’ असमंजस में है वह भोलाभाला, अलग-अलग पथ बतलाते सब पर मैं यह बतलाता हूं-‘राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला.

હા, આ કવિતા પરથી તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરવા જઈ રહ્યા છીએ. આજે એટલે કે 27મી નવેમ્બરે પ્રખ્યાત હિન્દી લેખક અને કવિ હરિવંશરાય બચ્ચનની જન્મજયંતિ છે. આજની પેઢી તેમને માત્ર અમિતાભ બચ્ચનના પિતાના નામથી ઓળખતી હોય તેમ બની શકે, પરંતુ તેઓ હિન્દી સાહિત્યજગતનું ખૂબ જ સન્માનજનક નામ છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1907ના રોજ યુપીના પ્રતાપગઢ જિલ્લાના બાબુપટ્ટી ગામમાં એક અવધી હિન્દુ પરિવારમાં થયો હતો.

હરિવંશ રાય બચ્ચનના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી દેવી હતું. હરિવંશે હિન્દી સિવાયની ભાષાઓનો અભ્યાસ કર્યો અને હિન્દીના જાણીતા કવિ બન્યા. તેમણે પ્રથમ કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂનો અભ્યાસ કર્યો અને પ્રયાગ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે પ્રખ્યાત અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યેટ્સની કવિતાઓ પર સંશોધન કરીને ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું અને તેઓ ઘણા વર્ષો સુધી અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર રહ્યા.

હરિવંશ રાય બચ્ચને બે વાર લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન અલ્હાબાદમાં રહેતા શ્યામા દેવી સાથે થયા હતા, જેમનાથી તેમને કોઈ સંતાન નહોતું. ટીબી જેવી બિમારીને કારણે શ્યામા દેવીના મૃત્યુ બાદ હરિવંશ રાયે તેજી સૂરી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેજી બચ્ચનને તેઓ એક કોમન ફ્રેન્ડના લગ્ન પ્રસંગે મળ્યા હતા અને તેમનો પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. કહેવાય છે કે હરિવંશ રાયે પોતાનું લગભગ અડધું જીવન સિવિલ લાઈન્સ સ્થિત ભાડાના મકાનમાં વિતાવ્યું હતું.

હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યમાં છાયાવાદ પછીના સમયગાળાના મુખ્ય કવિઓમાં શિરમોર છે. તેમણે ‘મધુશાલા’, ‘મધુકલશ’, ‘મિલન યામિની’ અને ‘દો ચટાનેં’ જેવી પ્રખ્યાત સાહિત્યિક કવિતાઓ લખી છે. તેમણે તેમની કવિતા ‘હાલા’, ‘પ્યાલા’ અને ‘મધુશાલા’ના પ્રતીકો દ્વારા જે કહ્યું છે તે આજ સુધીની સૌથી લોકપ્રિય કવિતા બની છે.
હરિવંશ રાય બચ્ચને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી નિષ્ણાત તરીકે પણ કામ કર્યું હતું.

તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે પણ નોમિનેટ થયા હતા. તેમણે સુમિત્રા નંદન પંતની કવિતાઓ અને નેહરુના રાજકીય જીવન પર પુસ્તકો પણ લખ્યા છે. તેણે શેક્સપિયરના નાટકોનો પણ ખૂબ સરસ અનુવાદ કર્યો. 1968માં તેમના લખેલા ‘દો ચટાનેં’ માટે તેમને હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1968માં તેમને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ અને આફ્રો એશિયન કોન્ફરન્સનો લોટસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે હરિવંશ રાય બચ્ચનને વર્ષ 1976માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ‘પદ્મ ભૂષણ’ એનાયત કરવામાં આવ્યો હતો.

હવે વાત કરીએ તેમના સંતાન અને આપણે જેમને બીગ બીના નામથી જાણીએ છીએ તે અમિતાભ બચ્ચન અને તેમના નામ વિશેની એક રસપ્રદ વાત. શું તમે જાણો છો કે જન્મથી જ અમિતાભ બચ્ચનનું નામ અમિતાભ ન હતું? જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમના પિતા હરિવંશરાય બચ્ચને તેમના પુત્રનું નામ ‘ઇન્કલાબ’ રાખ્યું હતું.

જેનો અર્થ થાય છે ‘ક્રાંતિ’. એકવાર હિન્દી ભાષાના લોકપ્રિય કવિઓમાંના એક સુમિત્રાનંદન પંત હરિવંશ રાય બચ્ચનને મળવા આવ્યા અને જ્યારે તેમણે આ બાળકને નામ પૂછ્યું, તો બાળકે જવાબ આપ્યો – ‘ઇન્કલાબ’. પંતે તરત જ હરિવંશ રાય તરફ જોયું અને કહ્યું, ‘આ બાળક ખૂબ જ અલગ છે, તેની આભા અદ્ભુત છે, આ માત્ર ક્રાંતિ નથી, તે અમિતાભ (અત્યંત તેજસ્વી-બેજોડ) છે.’ આ સાંભળીને હરિવંશ રાય અને તેની પત્ની તેજી બચ્ચન સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ તેમના મિત્રને પૂછ્યું. આ વાત સાથે સહમત થતા તેણે પોતાના મોટા પુત્રનું નામ અમિતાભ રાખ્યું. કહેવાની જરૂર નથી કે દીકરાએ આ વાતને સાચી ઠેરવી. કવિને તેમના જન્મદિવસે શુભકામના…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…