છત્તીસગઢ: મુખ્ય પ્રધાનનાશપથગ્રહણ ૧૩ ડિસેમ્બરે | મુંબઈ સમાચાર
નેશનલ

છત્તીસગઢ: મુખ્ય પ્રધાનનાશપથગ્રહણ ૧૩ ડિસેમ્બરે

રાયપુર: છત્તીસગઢમાં ભાજપના ઉમેદવાર અને મુખ્ય પ્રધાનપદના દાવેદાર વિષ્ણુદેવ સાય ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાયપુરમાં પ્રધાનમંડળના તેમના સભ્યો સાથે શપથગ્રહણ કરશે એવી જાહેરાત સોમવારે કરવામાં આવી હતી.

૫૯ વર્ષના સાય ભાજપના આદિવાસી જાતિના પ્રથમ મુખ્ય પ્રધાન હશે, એમ સત્તાવાર બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

બંધારણ મુજબ ૯૦ સભ્ય ધરાવતી છત્તીસગઢ વિધાનસભામાં મુખ્ય પ્રધાન સહિત વધુમાં વધુ ૧૩ પ્રધાનના સમાવેશની જોગવાઈ છે. ૧૩ ડિસેમ્બરે બપોરે બે વાગ્યે રાયપુરમાં સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શપથગ્રહણ વિધિ રાખવામાં આવી છે.

આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પક્ષના છત્તીસગઢ એકમના વડા ઓમ માથુર અને અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનો પણ હાજર રહેશે.

ભાજપના નવા ચૂંટાયેલા ૫૪ સભ્યોએ સોમવારે પક્ષની બેઠકમાં સર્વાનુમતીથી સાયને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા હતા.

છત્તીસગઢની ૯૦ સભ્યની વિધાનસભામાં ભાજપે ૫૪ બેઠક મેળવી હતી.

વર્ષ ૨૦૧૮માં ૯૦માંથી ૬૮ બેઠક મેળવનાર કૉંગ્રેસને આ વખતે માત્ર ૩૫ બેઠક મળી હતી. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button