‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ની ઉજવણી એ સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ છે: અમિત શાહ

નવી દિલ્હી: દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરને ‘હૈદરાબાદ લિબરેશન ડે’ તરીકે ઉજવવાનો નિર્ણય સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને યુવાનોમાં “દેશભક્તિની જ્યોત” પ્રજ્વલિત કરશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે સ્મારક પર એક જાહેરનામું બહાર પાડ્યું હતું. સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં શાહે લખ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ મુક્તિ ચળવળના શહીદોના સન્માનમાં દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
તેમણે કહ્યું હતું કે આ નિર્ણય સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને યોગ્ય શ્રદ્ધાંજલિ છે જેમણે હૈદરાબાદ ક્ષેત્રને ક્રૂર નિઝામના શાસનમાંથી મુક્ત કરીને ભારતનો એક ભાગ રહેવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
હું મોદીજીના સીમાચિહ્નરૂપ નિર્ણયનું સ્વાગત કરું છું, જે યુવાનોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરશે અને સ્વતંત્રતા ચળવળના આપણા ચિહ્નોને અમર બનાવશે, એમ તેમણે કહ્યું હતું.
નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હૈદરાબાદને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતની આઝાદી બાદ ૧૩ મહિના સુધી આઝાદી મળી ન હતી અને તે નિઝામના શાસન હેઠળ હતું. તત્કાલિન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ લશ્કરી કાર્યવાહીને પગલે તત્કાલિન હૈદરાબાદ રાજ્યને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું અને ૧૭ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ આ પ્રદેશને નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
મોદી સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ૧૭ સપ્ટેમ્બરના રોજ ‘હૈદરાબાદ લિબરેશન ડે’ની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.